દિલ્હી: લોકસભાની આગામી ચૂંટણી યોજાનાર છે ત્યારે બિહારમાં આ ચૂંટણી અંગે JDU સાથે BJP વચ્ચે બેઠકોની વહેંચણીના મામલે સમજૂતી થઈ ગઈ હોવાની જાહેરાત દિલ્હી ખાતે શુક્રવારે સાંજે બીજેપીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવી છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી વર્ષ ૨૦૧૯માં યોજાવાની છે. આ લોકસભાની ચૂંટણી અંગે બિહારમાં સત્તાધારી ગઠબંધન સરકારના મુખ્ય બંને પક્ષો જનતાદળ યુનાઇટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લોકસભાની બેઠકોની વહેંચણી સંદર્ભે ગડમથલ ચાલી રહી હતી. લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકોના મુદ્દે ચાલતી ગડમથલનો આજે અંત આવી ગયો હોવાની જાહેરાત જેડીયુના નીતીશ કુમાર સાથેની બેઠક બાદ બીજેપીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવી છે.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે બિહારમાં લોકસભાની ચૂંટણીમાં બેઠકો અંગે જેડીયુ સાથેની સમજૂતી અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે, બીજેપી અને જેડીયુને સમાન (સરખી) માત્રામાં બેઠકો મળશે. જયારે અન્ય સહયોગી પક્ષોને પણ સન્માનજનક બેઠકોની ફાળવણી કરવામાં આવશે.
આ સાથે બીજેપીના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, ઉપેન્દ્ર કુશવાહા એનડીએ ગઠબંધનની સાથે જોડાયેલા રહેશે, અને જો કોઈ નવો સાથી ગઠબંધનમાં જોડાશે તો તમામ પક્ષોની બેઠકોમાં ઘટાડો થશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, બિહારમાં લોકસભાની બેઠકોની વહેંચણી અંગે આગામી બે ત્રણ દિવસમાં જાહેરાત કરી દેવામાં આવશે.
એનડીએ સરકારના મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ તેજસ્વી યાદવ સાથે કરી બેઠક
બિહારમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે એનડીએના સાથી પક્ષોને બેઠકોની ફાળવણીના મુદ્દે એક તરફ બીજેપી અને જેડીયુ વચ્ચે સમજૂતી થઈ છે. જયારે બીજી તરફ બિહારમાં એનડીએના સાથી પક્ષ એવા આરએલએસપીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ બિહારમાં રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)ના નેતા અને લાલુ યાદવના પૂત્ર તેજસ્વી યાદવની સાથે મુલાકાત કરી હતી
શાહ અને નીતીશ વચ્ચેની બેઠક અંગે સાથી પક્ષ અજાણ
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં અમિત શાહ અને નીતીશ કુમારની વચ્ચે લોકસભાની બેઠકોની ફાળવણીના મુદ્દે યોજાયેલી બેઠક અંગે એનડીએના સાથી પક્ષો એલજેપી અને આરએલએસપીને કોઈ જ માહિતી ન હતી.