ગોવાના CM મનોહર પર્રિકરે હંગામી ધોરણે મુખ્યમંત્રી પદ કોઈને સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મનોહર પર્રિકર ઈલાજ માટે અમેરિકા જઈ શકે છે. છેલ્લા સાત મહિનાથી એડવાન્સ પૈન્ક્રિયાટિક કેન્સરની બીમારીથી પીડિત પર્રિકરની સારવાર અમેરિકામાં ચાલી રહી છે. એક સપ્તાહની સારવાર પછી 6 સપ્ટેમ્બરે તેઓ અમેરિકાથી પરત આવ્યા છે. આ બીમારીની જાણ થયા પછી તેઓ ત્રણ વખત અમેરિકા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ મનોહર પર્રિકર સારવાર આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને આગળની સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવનાર છે. તેઓ ખાસ વિમાન દ્વારા બપોર પછી દિલ્હી પહોંચશે.
તબીબી તપાસ પછી પર્રિકરને ગુરુવારે સાંજે ગોવાથી 15 કિમી દૂર પર્યટક ક્ષેત્ર કૈંડોલિમના એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરી એક વખત પર્રિકર સારવાર માટે ન્યૂયોર્ક જઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સતત પર્રિકરના સંપર્કમાં છે.
એમજીપીના ધવલીકર બની શકે છે ગોવાના હંગામી સીએમ: સૂત્રો
વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સાથે વાત કરી હતી. જેના પછી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર્રિકરના સ્થાને હંગામી વિકલ્પની શોધમાં લાગી ગયા છે. પાર્ટી વિજય પુરાણિકને નિરીક્ષક બનાવીને મોકલી રહી છે. તેમની સાથે સંગઠન મંત્રી બી. એલ. સંતોષ પણ ગોવા જઈ રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે, એક એવી પણ સંભાવના છે કે, તેમના ઉપરાંત પણ કોઈ અન્ય વરિષ્ઠ નેતા ચર્ચા કરવા માટે ગોવા પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગોવામાં ભાજપની સહયોગી પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના રામકૃષ્ણ સુદીન ધવલીકરને 18 મહિના માટે હંગામી (અસ્થાયી) રીતે સરકાર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ધવલીકર મનોહર પર્રિકરના મંત્રીમંડળમાં સૌથી સિનિયર મંત્રી છે.
ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, “હજુ ધવલીકરને જવાબદારી સોંપવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજેપીના નિરીક્ષક સોમવારે ભાજપ અને સહયોગી પક્ષોના ધારાસભ્યોને મળશે. તેના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
બીજી તરફ આ મુદ્દાને ટાળતા ધવલીકરે કહ્યું હતું કે, મનોહર પર્રિકરે તેમને બોલાવ્યા હતા, પરંતુ નેતૃત્વને લઈને કોઈ ચર્ચા થઈ નથી.
સૂત્રોનું કહેવું છે કે, પોતાના મંત્રીઓ અને સહયોગી પક્ષોની પાર્ટીની બેઠકમાં પર્રિકરે પોતાના સ્વાસ્થ્યને લઈને પોતાની જવાબદારી અન્ય કોઈને સોંપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે પોતાના સ્વાસ્થ્યના કારણે પોતાના પદની સાથે ન્યાય નથી આપી શકતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે અમેરિકાથી પરત આવ્યા પછી મનોહર પર્રિકરે હજુ સુધી સીએમ ઓફિસમાં ગયા નથી.