રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના ભાગ લીધા પછી દેશમાં રાજકીય અટકળોનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીનાં ઉપસ્થિત રહેવા અંગે જુદા-જુદા મતલબ કાઢવામાં આવી રહ્યા છે. કોઈ તેને પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા કોંગ્રેસને સંદેશો આપવાની દ્રષ્ટિએ જોઈ રહ્યું છે તો કોઈને આમાં સંઘની ચાલ દેખાઈ રહી છે. જયારે શિવસેનાની વાત માનીએ તો સંઘ પ્રણવ મુખરજીનું નામ વડાપ્રધાન પદની રેસ માટે આગળ કરવાની તૈયારી કરી રહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈની સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, “અમને લાગે છે કે, બીજેપીને બહુમત ન મળવાની સ્થિતિમાં આરએસએસ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રણવ મુખરજીનું નામ આગળ કરવાની તૈયારી કરી રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં બીજેપી આ વખતે ૧૧૦ બેઠકો ઉપર હારશે.”
ઉલ્લેખનીય છે કે, આરએસએસના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીના જવાથી કોંગ્રેસની નારાજગી કોઈનાથી છુપાયેલી રહી નથી. જો કે, કોંગ્રેસના નેતાઓ ખુલીને આ અંગે કઈ પણ કહ્યું નથી, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિનું આ પગલું તેમના માટે વિચલિત કરવા વાળું રહ્યું હતું. પ્રણવ મુખરજી એવા સમયે આરએસએસના કાર્યક્રમમાં જોડાયા હતા કે, જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહારો કરી રહ્યાં છે. આવામાં ગાંધી પરિવાર અને પ્રણવ મુખરજીની વચ્ચે ખાઈ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે.
જયારે કેટલાક રાજનીતિક જાણકારો એવું પણ માની રહ્યા છે કે, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) જેવા વિપક્ષો જે બિન-બીજેપી અને બિન-કોંગ્રેસી મોરચાની તલાશમાં છે, તેમના માટે મુખરજી વડાપ્રધાન પદ માટે સર્વમાન્ય ચહેરો બની શકે છે. હવે શિવસેનાએ આ નવું નિવેદન આપીને ઈશારો કરી દીધો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રણવ મુખરજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.