દેશના વિવિધ રાજકીય પક્ષોને વિવિધ સ્ત્રોતો મારફત ફંડ મળતું હોય છે. જેના અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં દેશના સાત મુખ્ય રાજકીય પક્ષોને રૂ. ૨૦૦૦૦થી વધુની રકમના કુલ ૨૧૨૩ ફંડ મળ્યા છે. જેમાં આ સાત રાજકીય પક્ષોને કુલ રૂપિયા ૫૮૯.૩૮ કરોડની રકમનું દાન મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, બીજેપી (BJP)ને સૌથી વધુ ૧૧૯૪ ફંડ મારફત કુલ રૂપિયા ૫૩૨.૨૭ કરોડની માતબર રકમ પ્રાપ્ત થઈ છે. જયારે ફંડ પેટે સૌથી ઓછું સીપીઆઈને રૂ. ૧.૪૪ કરોડની રકમ મળી છે.
રાજકીય પક્ષો વિભિન્ન સ્ત્રોતો તરફથી દાન (ફંડ) મેળવતા હોય છે, આ માટે ઉત્તરદાયિત્વ અને પારદર્શિતા તેમના કામકાજ માટે મહત્વપૂર્ણ પાસું હોવું જોઈએ. વ્યાપક અને પારદર્શી હિસાબ વ્યવસ્થાની માટે રાજકીય પક્ષો દ્વારા યોગ્ય નાણાકીય સ્થિતિને પ્રદર્શિત કરવી જરૂરી છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR-એડીઆર)દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે.
આ અહેવાલમાં નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ વર્ષ દરમિયાન દેશના સાત રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલી દાન-ફંડની રકમનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે સાત રાજકીય પક્ષોએ પોતાને મળેલા ફંડની માહિતી જાહેર કરી છે તેમાં બીજેપી, કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, બસપા અને ત્રિનમૂલ કોંગ્રેસનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં દેશના સાત રાજકીય પક્ષોને રૂ. ૨૦૦૦૦થી વધુ દાન પેટે મળેલી કુલ રકમ રૂ. ૫૮૯.૩૮ કરોડની રકમ થાય છે. આ ફંડની રકમ કુલ ૨૧૨૩ દાન દ્વારા આપવામાં આવી છે.
આ ફંડ મેળવનાર રાજકીય પક્ષોમાં બીજેપી ૧૧૯૪ દાન પેટે સમગ્ર દેશમાંથી રૂ. ૫૩૨.૨૭ કરોડની રકમ પ્રાપ્ત કરીને સૌથી મોખરે રહી છે. ત્યાર બાદ કોંગ્રેસ ૫૯૯ દાન પેટે રૂ. ૪૧.૯૦ કરોડની રક્ક્મ મેળવીને બીજા ક્રમે રહી છે. આમ બીજેપીને મળેલી દાનની રકમ અન્ય છ રાજકીય પક્ષોને મળેલા દાનથઈ નવ ગણું વધારે છે.
જયારે બહુજન સમાજ પાર્ટી (બસપા)એ છેલ્લા ૧૧ વર્ષોની જેમ આ નાણાકીય વર્ષમાં એવું દર્શાવ્યું છે કે, પક્ષને રૂ. ૨૦૦૦૦થી વધુ રકમનું દાન નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન મળ્યું નથી.
નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં રાજકીય પક્ષોએ મેળવેલ દાનની તુલના
નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના કુલ દાન (રૂ. ૧૦૨.૦૨ કરોડ)ની તુલનામાં રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનની સામે આ વર્ષે (નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭)માં ૪૭૮ ટકાનો અથવા રૂ. ૪૮૭.૩૬ કરોડનો વધારો જોવા મળ્યો છે.
બીજેપીને મળેલા દાનમાં ૫૯૩ ટકાનો વધારો થયો છે જે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન પાર્ટીએ ૭૬.૮૫ કરોડની રકમ જાહેર કરી હતી, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં આ રકમ વધીને રૂ. ૫૩૨.૨૭ કરોડ થઈ ગઈ છે.
ત્રિનમૂલ કોંગ્રેસે પોતાના દાન અંગેના અહેવાલમાં ૨૩૧ ટકાનો વધારો દર્શાવ્યો છે, જયારે સીપીએમ અને કોંગ્રેસના દાનમાં અનુક્રમે ૧૯૦ ટકા અને ૧૦૫ ટકાનો વધારો થયો છે. આ વધારો નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના દાન અંગેના અહેવાલના વિશ્લેષણમાં જોવા મળ્યું છે.
સાત મુખ્ય રાષ્ટ્રીય પક્ષોને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં મળેલા દાનની રકમ
બીજેપીને ૧૧૯૪ ડોનેશન મારફત રૂપિયા ૫૩૨.૨૭ કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. જયારે કોગ્રેસને ૫૯૯ ડોનેશન મારફત રૂપિયા ૪૧.૯૦ કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને બાવીસ ((22) ડોનેશન મારફત રૂ. ૬.૩૪ કરોડનું ફંડ મળ્યું છે તેઓ સીપીએમને ૨૦૦ ડોનેશન મારફત રૂ. ૫.૨૫ કરોડની રકમનું ફંડ પ્રાપ્ત થયું છે. ત્રિનમૂલ કોંગ્રેસ (એઆઈટીસી)ને ૧૨ ડોનેશન મારફત રૂ.૨.૧૫ કરોળની રકમ ફંડ પેટે મળી છે. જયારે સીપીઆઈને ૯૬ ડોનેશન મારફત રૂ. ૧.૪૪ કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. જયારે બસપાએ રૂપિયા ૨૦૦૦૦થી વધુ રકમનું ફંડ મળ્યું નથી તેવી માહિતી તેના અહેવાલમાં આપી છે.