મુંબઈ: ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી સુનીલ છેત્રીએ સોમવારે અએક અનોખી સિદ્ધિ મેળવી છે. છેત્રીએ તેની ૧૦૦મી મેચમાં ૬૧ ગોલ પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવીને છેત્રી હવે સક્રિય ફૂટબોલરમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેનાથી આગળ માત્ર મેસ્સી અને રોનાલ્ડો જ છે.
લાયોનલ મેસ્સીથી 3 ગોલ અને રોનાલ્ડોથી ૨૦ ગોલ પાછળ
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી એવા સુનિલ છેત્રીએ સોમવારે કેન્યા સામેની મેચમાં બે ગોલ બનાવ્યા હતા. આ મેચ છેત્રીની 100મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. શતકીય મેચમાં ભારતીય કેપ્ટન છેત્રીએ પોતાની કારકિર્દીમાં ૬૧ ગોલ પૂરા કરીને અએક અનોખી સિદ્ધિ મેળવી છે.
૬૧ ગોલ પુર કરીને તેઓ હવે સૌથી વધુ ગોલ કરનારા સક્રિય (એક્ટિવ એટલે કે વર્તમાનમાં ફૂટબોલ રમતાં) ખેલાડીઓમાં ત્રીજા નંબરે છે. ભારતીય કેપ્ટન સુનીલ છેત્રી હવે આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લાયોનેલ મેસ્સીના ૬૪ ગોલથી માત્ર ત્રણ ગોલ દૂર રહ્યા છે. જયારે હાલમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૮૧ ગોલ સાથે સૌથી મોખરે રહ્યા છે.
ભારતીય ફૂટબોલ ટીમે આ મેચમાં કેન્યાની ટીમને 3-0થી હરાવી હતી. આ મેચ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ સ્ટેડિયમમાં પ્રશંસકોને મોટી સંખ્યામાં મેચ જોવા આવવા માટે અને ઘરેલુ ટીમને પ્રોત્સાહન આપવા બદલ આભાર માન્યો હતો.
આ મેચ પૂરી થયા બાદ સુનીલ છેત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું તમને વચન આપું છું કે, જો અમને પોતાના દેશ માટે રમવા માટે આવું જ સમર્થન મળતું રહેશે તો અમે મેદાનમાં આવું જ ધમાકેદાર પરફોર્મન્સ આપતા રહીશું. અમને પ્રોત્સાહન આપવા માટે સૌનો આભાર. હવે, આવતી કાલે ગુરુવારે ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમ સામસામે ટકરાશે.