દિલ્લી
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા સંસદમાં કેન્દ્રીય કક્ષમાં સ્થાપિત કરવાની તૈયારીઓ પૂરી થઇ ગઈ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જુદા-જુદા દળના નેતા ધરાવતી સંસદની સમિતિ વાજપેયીની પ્રતિમા લગાવવા માટે મંજુરી આપી હતી.
આ સ્ટેચ્યુનો મુખ્ય પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અરુણ જેટલી અને નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો હતો.
લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનની અધ્યક્ષતાની સમિતિની બેઠક મંગળવારે થઇ હતી.
જેમાં આ મામલે દરેકે સહમતિ જતાવી હતી. ઉલ્લેખનીય છે કે ૧૬ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વાજપેયીનું નિધન થયું હતું.
તમને જણાવી દઈએ કે સંસદમાં કેન્દ્રીય કક્ષમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દીરા ગાંધી, શ્યામા પ્રસાદ મુખર્જી અને વીર સાવરકર સહિત ૨૨ ખ્યાતનામ લોકોની પ્રતિમા આવેલી છે.
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. એક શિક્ષકના પરિવારમાં જન્મેલા અટલ બિહારી વાજપેયી લોકો વચ્ચે પોતાની પ્રખ્યાત રાજનૈતિક પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા.
ભારત રત્નની સન્માનિત અટલજી અંગે માનવામાં આવતું હતું કે, તેઓએ બહુપક્ષીય અને દ્વિપક્ષીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતા પોતાના કૌશલ્યનું એક ખાસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એક પત્રકાર તરીકે તેઓએ શરુ કરી હતી કારકિર્દી
ભારત સરકારની એક ઓફિશિયલ વેબસાઈટના જણાવ્યા અનુસાર, રાજનૈતિક વિજ્ઞાન અને કાયદાના વિધાથી રહેલા અટલ બિહારી વાજપેયીએ એક પત્રકારના સ્વરૂપમાં પોતાનું કેરિયર શરુ કર્યું હતું.
જયારે તેઓએ ભારતીય રાજનીતિમાં ૧૯૪૨માં હિન્દ છોડો આંદોલન દરમિયાન પગલું ભર્યું હતું. ત્યારબાદ તેઓ આ દિશામાં ખુબ ઝડપથી આગળ વધ્યા હતા.
૧૯૫૧માં જનસંઘમાં શામેલ થયા બાદ તેઓએ પત્રકારત્વ છોડી દીધું હતું. આજની ભારતીય જનતા પાર્ટી પહેલા જનસંઘના નામથી જાણવામાં આવતું હતું, જે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનું એક અભિન્ન અંગ હતું.
પોતાના ચાર દાયકાથી વધુ સમયના રાજકારણમાં તેઓ લોકસભામાં ૯ વાર અને રાજ્યસભામાં ૨ વાર સાંસદ તરીકે ચુંટાયા હતા.
ત્રણવાર દેશના વડાપ્રધાન બન્યા અટલ બિહારી વાજપેયી
ચાર દાયકા સુધી રાજકારણમાં સક્રિય રહેલા અટલ બિહારી વાજપેયી ત્રણવાર દેશના વડાપ્રધાન બન્યા હતા. પહેલીવાર તેઓ ૧૯૯૬માં અને બીજીવાર ૧૯૯૮માં બન્યા હતા. જો કે ત્યારબાદ તેઓએ ત્રીજીવાર ૧૯૯૯માં પીએમ બન્યા બાદ એક ગૈર-કોંગ્રેસી નેતા તરીકે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરનારા તેઓ દેશના પહેલા પ્રધાનમંત્રી હતા.
આ ઉપરાંત તેઓએ ભારતમાં વિદેશ મંત્રાલય પણ સંભાળ્યું હતું, તેમજ આઝાદી પછી ભારતની ડોમેસ્ટિક અને વિદેશી નીતિમાં પણ એક સક્રિય ભૂમિકા નિભાવી છે.
આ પુરસ્કારથી તેઓને કરાયા છે સન્માનિત
એક પત્રકાર, કવિમાંથી પ્રધાનમંત્રી બનેલા અટલ બિહારી વાજપેયીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને ૧૯૯૪માં ભારતના સર્વશ્રેષ્ઠ સાંસદથી પણ સન્માનિત કરાયા છે.
આ ઉપરાંત તેઓના નામ સાથે એક પ્રતિષ્ઠિત રાજનેતા, નિ:સ્વાર્થ સામાજિક કાર્યકર્તા, એક પ્રખર વક્તા, તેજાબી કલમ, કવિ,સાહિત્યકાર, પત્રકાર અને એક સફળ વ્યક્તિત્વવાળા વ્યક્તિ છે.