કુશીનગર,
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે બપોરે વાયુસેનાનું એક લડાકુ વિમાન જેગુઆર ક્રેશ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિમાને ઉડાન ભર્યાના થોડીવારમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં પાયલટનો બચાવ થયો છે. આ વિમાન કુશીનગરના ગ્રામીણ વિસ્તારના ખેતરમાં જઈને પડ્યું છે. આ વિમાન ખેતરમાં પડતાં જ ગામના લોકોની ભીડ ત્યાં ભેગી થઈ ગઈ હતી.
દેશમાં ફાઇટર પ્લેન મીગ તુટી પડવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે પરંતું સોમવારે એરફોર્સની શાન ગણાતું જગુઆર પ્લેન ઉત્તર પ્રદેશમાં ક્રેશ થયું હતું.ગોરખપુરના એરબેઝથી ઉડાન ભરેલ જગુઆર લખનૌથી 300 કિલોમીટ દુર આવેલા કુશીનગરમાં તુટી પડ્યું હતું.
એરફોર્સનું આ જગુઆર પ્લેન તેની રૂટીન ઉડાન ભરી રહ્યું હતું.
જો કે પ્લેન ક્રેશ થતાં પહેલાં પાયલોટે પોતાની જાતને પ્લેનની બહાર કાઢીને પોતાનો જીવ બચાવી લીધો હતો. પાયલટે પણ સમઝ વાપરીને વિમાનને વસ્તીથી દૂર લઈ ગયો હતો જેથી સામાન્ય વ્યક્તિને કોઈ નૂકસાન ન થાય. વાયુસેના તરફથી આ ઘટનામાં કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમાને રુટિન ટ્રેનિંગ માટે જ ઉડાન ભરી હતી અને તેની 10-15 મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું.
ઘટના પછી વાયુસેના તરફથી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. બે હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ગુજરાતના કચ્છમાં પણ લડાકુ વિમાન જેગુઆર ક્રશ થયું હતું. જૂન 2018માં થયેલી આ ઘટનામાં પાયલટ સંજય ચૌહાણ શહીદ થયા હતા.