દિલ્લી,
આગામી ૬ માર્ચથી શ્રીલંકામાં રમાનારી ટી-૨૦ ત્રિકોણીય સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત ભૂતપૂર્વ કેપ્ટન એમ. એસ. ધોની, ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જયારે ટીમની કમાન રોહિત શર્માને આપવામાં આવી છે. આ ટી-૨૦ ત્રિકોણીય સીરીઝમાં ભારત ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ભાગ લઇ રહી છે.
ભારતે આગામી કેલેન્ડર વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં ૩૦ વન-ડે સહિત કુલ ૬૩ આંતરરાષ્ટ્રીય મેચો રમવાની છે ત્યારે ખેલાડીઓનું ફિટનેસ લેવલ સિલેકશન કમિટી માટે અત્યંત મહત્વનું છે ત્યારે ટીમના શીર્ષ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની ગેરહાજરીમાં વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક અને વૃષભ પંથની પસંદગી કરવામાં આવી છે જયારે ઓલરાઉન્ડર તરીકે વિજય શંકર અને દીપક હુડ્ડા તેમજ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, અને સ્પિનર વોશિંગ્ટન સુંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે. ટેસ્ટ સીરીઝને બાદ કરતા ભારતે યજમાન આફ્રિકન ટીમને વન-ડે અને ટી-૨૦ સીરીઝમાં પરાજય આપ્યો હતો.
ભારતીય ટીમ :
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વિજય શંકર, દીપક હુડ્ડા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, વૃષભ પંથ (વિકેટકીપર)
ટી-૨૦ ત્રિકોણીય સીરીઝનો પૂરો કાર્યક્રમ :
૬ માર્ચ – શ્રીલંકા v/s ભારત
૮ માર્ચ – બાંગ્લાદેશ v/s ભારત
૧૦ માર્ચ – બાંગ્લાદેશ v/s શ્રીલંકા
૧૨ માર્ચ – શ્રીલંકા v/s ભારત
૧૪ માર્ચ – બાંગ્લાદેશ v/s ભારત
૧૬ માર્ચ – બાંગ્લાદેશ v/s શ્રીલંકા
૧૮ માર્ચ – ફાઈનલ