ભારત સરકારે દેશની સુરક્ષાહિતોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારનું આ મહત્વનું પગલું વાયુસેનાની તાકાતમાં બે ગણો વધારો કરશે. સરકારે વાયુસેનાની તાકાત વધારવા તેજસ એરક્રાફટ અને પ્રચંડ એટેક હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સંરક્ષણ અધિગ્રહણ પરિષદે 97 વધારાના તેજસ ફાઇટર એરક્રાફ્ટ અને લગભગ 150 પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની ખરીદી કરશે. વાયુસેના અંદાજ મુજબ આ એરક્રાફ્ટ અને એટેક હેલિકોપ્ટર માટે 65,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળના DAC એ તેના Su-30 ફાઈટર ફ્લીટને અપગ્રેડ કરવાના એરફોર્સના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ મેગા ડીલ અને Su-30 અપગ્રેડ પ્રોગ્રામથી સરકારી તિજોરીને 1.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જોકે, ટૂંક સમયમાં જ સંરક્ષણ મંત્રાલય આ સંબંધમાં માહિતી શેર કરી શકે છે.
તેજસ એરક્રાફ્ટ અને પ્રચંડ એટેક હેલિકોપ્ટરની ખરીદીને ભારતનું આત્મનિર્ભર બનવા તરફનું મહત્વનું પગલું કહી શકાય. ભારતીય વાયુસેના પણ સ્વદેશી બનાવટના એરક્રાફ્ટ તરફ વળી રહી છે. અગાઉ, ભારતીય વાયુસેનાએ તેના કાફલામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવેલા પ્રથમ લાઈટ ફાઈટર પ્લેનનો સમાવેશ કર્યો હતો. વાયુસેનાએ એચએએલને 18 બે સીટર તેજસ પ્લેનનો ઓર્ડર આપ્યો હતો. આઠ તેજસ વિમાન વર્ષ 2023-2024 સુધીમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે . બાકીના 10 વિમાનો 2026-27 સુધીમાં સોંપવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ બેંગલુરુમાં તેજસમાં ઉડાન ભરી હતી.