નવી દિલ્હી: તપાસ એજન્સી સીબીઆઈના આંતરિક વિવાદ મુદ્દે કોંગ્રેસ દ્વારારાહુલ ગાંધીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે આજે દિલ્હી, ગુજરાત સહીત દેશભરમાં વિરોધ દેખાવો અને પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ આજે શુક્રવારે દિલ્હીના લોધી રોડ સ્થિત દયાલ સિંહ કોલેજથી શરૂ થયેલી કોંગ્રેસની માર્ચ સીબીઆઈ મુખ્યાલય સુધી પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પોલીસની બેરીકેડ પર બેસી ગયા હતા.
રાહુલ ગાંધીની સાથે અહમદ પટેલ, અશોક ગહેલોત, પ્રમોદ તિવારી, આનંદ શર્મા, દીપેન્દર હુડ્ડા, ડી. રાજા, શરદ યાદવ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શનને જોતા સીબીઆઈ હેડક્વાર્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પ્રદર્શનને લઈને કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે. જો કે આ વિરોધ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીએ સાંકેતિક ધરકપડ પણ વ્હોરી છે. કોંગ્રેસના કહેવા મુજબ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
રાહુલ ગાંધીને ત્યારબાદ લોધી રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાને રાફેલ ડીલમાં ચોરી કરી છે, સમગ્ર દેશ આ વાતને સમજી રહ્યો છે, વડાપ્રધાન ભાગી શકતા નથી, ગમે તેટલી વખત મારી ધરપકડ કરવી હોય તો કરી લો, મને કોઈ ફરક પડશે નહીં.
સીબીઆઈ હેડક્વાર્ટર પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ તો દાવો કર્યો છે કે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની પોલીસે ધરપકડ કરી. દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં સીબીઆઈના હેડક્વાર્ટર પર પ્રદર્શન ઉપરાંત ગુજરાતના ગાંધીનગર સહીત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા સહિત અનેક જગ્યાઓ પર સીબીઆઈની ઓફિસો સામે પ્રદર્શન કરવામાં આવ્યા છે.
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘શુક્રવારે દેશભરમાં સીબીઆઈના કાર્યાલયોની બહાર સીબીઆઈના ચીફને હટાવીને રાફેલ કૌભાંડની તપાસને રોકવા માટેના વડાપ્રધાન મોદીના શરમજનક પ્રયત્નનો વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા દેખાવો કરશે.’ તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, હું સવારે 11 વાગ્યે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર થનારા પ્રદર્શનનું નેતૃત્વ કરીશ.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા વિરુદ્ધના આદેશને તરત પરત ખેંચવાની માગણી સાથે જ વડાપ્રધાન મોદી પાસે આ સમગ્ર પ્રકરણ પર દેશ સમક્ષ માફી માંગવાની માગણી કરવામાં આવશે. કોંગ્રેસ મહાસચિવ અશોક ગહેલોતે પણ તમામ કોંગ્રેસ મહાસચિવો, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓને પત્ર લખીને કહ્યું છે કે દેશભરમાં સીબીઆઈ કાર્યાલયોની બહાર ભાજપ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શનો કરવામાં આવે.