સરહદ પારથી આતંકવાદીઓ કાશ્મીર મામલે ષડયંત્ર કરી રહ્યા છે તેના સંદર્ભે સુરક્ષા એજન્શીએ કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે હાઇ એલર્ટ કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ સાથે ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા છે, જેથી આ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે તૈયારીઓ કરી શકાય.
અધિકારીએ જણાવ્યું કે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અફઘાનિસ્તાનના કંદહારમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને તાલિબાન નેતાઓ વચ્ચેની બેઠક અંગેની માહિતી મળ્યા બાદ તમામ ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં જૈશે ભારતમાં હુમલા કરવામાં તાલિબાન નેતાઓ પાસેથી મદદ માંગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં પાકિસ્તાનની રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
“અમે ગુપ્તચર એજન્સીઓને સોશિયલ મીડિયા પર નજર રાખવા કહ્યું છે. 24 ઓગસ્ટના રોજ અમને બે પાકિસ્તાની આતંકવાદીઓની હિલચાલ વિશે માહિતી મળી જે શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો કરવા માંગે છે. તમામ એજન્સીઓને સંકલન માટે ચેતવણી આપવામાં આવી છે. ”તમામ રાજ્યોને સુરક્ષા વધારવા અને આતંકવાદ વિરોધી એકમોને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
15 ઓગસ્ટના રોજ તાલિબાને કાબુલ પર કબજો કર્યો અને યુએસ સમર્થિત સરકાર પડી ગઇ આ પછી, ઘણા દેશોએ કાબુલમાંથી તેમના નાગરિકો અને રાજદ્વારીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. કાબુલ એરપોર્ટ પર હજારો લોકો ભેગા થયા છે, જે દેશ છોડવા માંગે છે. ભારત મિશન ‘દેવી શક્તિ’ અંતર્ગત તેના નાગરિકો સાથે હિન્દુ અને શીખ અફઘાનને બહાર કાઢવામાં પણ વ્યસ્ત છે. દરમિયાન, ગુરુવારે, ઇસ્લામિક સ્ટેટના ખોરાસન મોડ્યુલે એરપોર્ટની બહાર ફિદાયીન હુમલો કર્યો, જેમાં 13 અમેરિકન સૈનિકો સહિત ઓછામાં ઓછા 169 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.