જેરુસલેમ,
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા ઓપચારિક રીતે ઇઝરાયેલનું દુતાવાસ જેરુસલેમમાં શરુ કરવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇઝરાયેલની રાજધાની તરીકે પોતાના દેશની એમ્બેસીને જેરુસલેમમાં સ્થાયી કરવા જે પ્રતિજ્ઞા લીધી હતી તે હવે પરિપૂર્ણ થઇ છે.
સોમવારે ઇઝરાયેલમાં અમેરિકી રાજદૂત ડેવિડ ફ્રાઈડમેને ઉદ્ઘાટન સમારોહની શરૂઆતમાં જણાવ્યું હતું કે, આજે આપણે ઇઝરાયેલના જેરુસલેમમાં અમેરિકાના રાજદૂતના દૂતાવાસને શરુ કરી રહ્યા છીએ. આ પ્રસંગે ઈઝરાયેલના નેતાઓ, વોશિંગ્ટનથી આવેલા અમેરિકાના ઉચ્ચ પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને તેઓના પતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બીજી બાજુ, જેરુસલેમમાં અમેરિકી દૂતાવાસ ચાલુ થવાનો પેલેસ્ટાઇનીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ગાઝા પટ્ટી વિરોધીઓ પર ઇઝરાયેલી સેના દ્વારા કરાયેલા હુમલામાં ૪૩ પેલેસ્ટાઇનીઓના મોત થયા છે.
મહત્વનું છે કે, આ પહેલા ગત ડિસેમ્બર મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇઝરાયેલની રાજધાની તરીકે જેરુસલેમને માન્યતા આપવાનો એક પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ટ્રમ્પની માન્યતાએ લઇ પેલેસ્ટાઈનીઓ રોષે ભરાયા હતા.
તેઓએ કહ્યું હતું કે, “ઇઝરાયેલ સાથેની કોઈપણ શાંતિ પ્રક્રિયાની યુનાઇટેડ સ્ટેટ્સ લાંબા સમય સુધી પ્રમાણિક બ્રોકર તરીકે સેવા આપી શકશે નહીં”.
પેલેસ્ટાઇન પહેલેથી આ શહેરના પૂર્વભાગ પર પોતાનો દાવો કરે છે, તેમજ પેલેસ્ટાઇનવાસીઓનું માનવું છે કે, અહીં ઍમ્બેસી શરૂ કરીને અમેરિકા સમગ્ર શહેર પર ઇઝરાયલના પ્રભુત્વને માન્યતા આપી છે.