21 સપ્ટેમ્બરને વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ વર્ષમાં માત્ર એક દિવસ શાંતિ દિવસ તરીકે ઉજવવાથી આ હેતુ પૂરો થતો નથી. દિવસેને દિવસે સમાજમાં અસંતોષ, અસમાનતા અને નફરતની લાગણી વધી રહી છે અને તે શાંતિ ડહોળવાનું કામ કરી રહી છે. દિવસેને દિવસે વિદ્રોહી જૂથો, આતંકવાદી જૂથો જન્મ લઈ રહ્યા છે અને વિશ્વની સામે શાંતિ એક પડકાર બની રહી છે.
આજની દોડધામ ભરી જીંદગીમાં માણસ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકે છે અને શાંતિથી દૂર થઈ રહ્યો છે. દુનિયામાં જે રીતે અશાંતિ ફેલાઈ છે, આ શબ્દ ક્યાંક ખોવાઈ ગયો છે. વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે વધુ કાઈ કરવી જરૂર નથી. આપણે ફક્ત પોતાની અંદર જોવાની જરૂર છે.
વાસ્તવમાં, પ્રથમ વિશ્વ યુદ્ધ પછી, પેરિસમાં એક શાંતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રએ બીજા વિશ્વયુદ્ધના અંત સુધી આ અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો. તેથી જ આજે પણ યુએન વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરે છે. જો કે, આ દિવસને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ કહેવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ હજુ પણ દર વર્ષે 21મી સપ્ટેમ્બરે આ દિવસ આ સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ 21 સપ્ટેમ્બર 1982 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
છેલ્લા કેટકાલ વર્ષોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ અનેક ક્ષેત્રોમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ તેના બદલે માત્ર માનસિક અશાંતિ અને અસંતોષમાં વધારો થયો છે. આપણા ભૌતિક વિકાસ અને ટેક્નોલોજીની પ્રગતિ વિશે કોઈ શંકા નથી, પરંતુ હજી પણ આ પૂરતું નથી, કારણ કે અત્યાર સુધી આપણે શાંતિ અને સુખ લાવી શક્યા નથી.
અત્યાધુનિક યાંત્રિક યુગમાં માનવ સભ્યતાએ શું ગુમાવ્યું છે ? વિજ્ઞાનના અને ટેકનોલોજીએ માનવ જીવન સરળ બનાવ્યું છે તો બીજી તરફ ગ્રીનહાઉસ વાયુઓ અને ગ્લોબલ વોર્મિંગે સમગ્ર વિશ્વને ચિંતાજનક ખતરા તરફ ધકેલી દીધું છે. ઉત્તરાખંડમાં અવારનવાર ભૂસ્ખલન અને પુર જેવી આપત્તિને જન્મ આપ્યો છે. જ્યારે સંરક્ષણ સાધનોએ રાષ્ટ્રોને સુરક્ષાની ભાવના આપી છે. તો બીજી બાજુ અણુશસ્ત્રોની શક્તિએ હિરોશિમા અને નાગાસાકી જેવા ક્યારેય ના રૂઝ્યા ઘા પણ આપ્યા છે.
આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે આપણી પ્રગતિ અને વિકાસમાં કોઈ ગંભીર ખામી રહી હશે અને જો આપણે તેને સમયસર અટકાવીશું નહીં, તો માનવતાના ભાવિ માટે તેના વિનાશક પરિણામો આવશે. હું વિજ્ઞાન અને ટેક્નોલોજીનો બિલકુલ વિરોધ નથી કરતી.
વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં અસંખ્ય ભૌતિક આનંદ પ્રદાન કરવાની ક્ષમતા હોવા છતાં, તેઓ આપણા વર્ષો જૂના આધ્યાત્મિક અને માનવીય મૂલ્યોને બદલી શકતા નથી, ભૌતિક વિકાસ અને બીજી તરફ આધ્યાત્મિક માનવ મૂલ્યોના વિકાસ વચ્ચે સંતુલન જાળવવું લગભગ અશક્ય છે. આ સમન્વય લાવવા માટે આપણે આપણા માનવીય મૂલ્યોને પુનર્જીવિત કરવા પડશે.
આજે જ્યાં જુઓ ત્યાં વિશ્વમાં અજંપા ભરેલી પરિસ્થિતિ છે તમામ દેશો આંતરિક કલહ અથવા તો વૈશ્વિક આતંકવાદથી પીડાઈ રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે પણ લગભગ છેલ્લા છ મહિના ઉપરથી યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ તાઇવાન પણ અજંપા ભરી પરિસ્થિતિમાં છે. એક બાજુ પરમાણુ શસ્ત્રોનું ચલણ વધ્યું છે. ત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધ ના ભણકારે યુનો સહીત વિશ્વના તમામ દેશોની ઊંઘ ઉડાડી છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન જેવા દેશો આર્થિક કટોકટી અને કુદરતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. યુરોપિયન દેશો ક્યારેય ન અનુભવી હોય તેવી ગરમી અનુભવી રહ્યા છે એટલે સુધી કે રેલવેના પાટા ઓગળી રહ્યા છે તો રોડ રસ્તા પરનો ડામર પણ ઓગળી રહ્યો છે. આજે મહદ અંશે વિશ્વના દરેક દેશો યેનકેન પ્રકારે કોઈને કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે દુનિયાના દરેક દેશનો માનવી આજે શાંતિ ઝંખી રહ્યો છે. શું વિજ્ઞાનએ કરેલી પ્રગતિ માનવીને શાંતિ આપી શકશે ?
આ પણ વાંચો:દિનેશ કાર્તિક પર રોહિત શર્માનું ગળું દબાવ્યું, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવના નિધનથી દુઃખી PM મોદી, કહ્યું- તે બહુ જલ્દી છોડીને ચાલ્યા ગયા
આ પણ વાંચો:વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સરકાર સામે વિવિધ મુદ્દાને લઇને કર્યો જોરદાર વિરોધ