પાકિસ્તાને હવે આરોપ લગાવ્યો છે કે, કુલભૂષણ જાધવની પત્ની ચેતનાના જૂતા એટલા માટે પરત નથી કર્યા કેમકે તેમાં જાસૂસી માટે કોઈક સામાન લગાવાયો હોવાની શંકા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તપાસ એજન્સી દ્વારા જૂતાની તપાસ કરવામાં આવી રહી છે. જાધવ આશરે 2 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેને પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે કથિત જાસૂસીના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. ભારતની અપીલ સંદર્ભે હાલ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે કુલભૂષણની ફાંસી પર રોક લગાવી છે. જાધવના માતા અને પત્નીએ સોમવારે ઈસ્લામાબાદમાં કુલભૂષણ સાથે મુલાકાત કરી હતી. ત્યારે પાકિસ્તાને જાધવની પત્નીના જૂતા ઉતરાવી લીધા હતા અને પરત કર્યા ન હતા.
પાકિસ્તાની ન્યુઝ ચેનલ ‘જિયો ન્યૂઝ‘ ના જણાવ્યા મુજબ, પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું છે કે, “જાધવના પત્ની ચેતનાના જૂતા એટલા માટે પરત નથી કરવામાં આવ્યાં કેમકે તેમને શંકા છે કે તેમાં જાસૂસી માટે વિદેશી ઉપકરણો લગાવવામાં આવ્યાં હોઈ શકે છે અને એટલા માટે જ પાકિસ્તાનની તપાસ એજન્સી જૂતાઓની તપાસ કરી રહી છે.”
ફૈઝલે વધુમાં કહ્યું હતુ કે “પાકિસ્તાનની તપાસ એજન્સીઓએ માત્ર ચેતનાના જૂતા પોતાની પાસે રાખ્યાં છે. બાકીનો સામાન જેવાં કે જ્વેલરી અને શાલ પાછા આપી દેવામાં આવ્યાં છે. ફૈઝલે કહ્યું હતુ કે ચેતનાના જૂતામાં કંઈક ફિટ હોઈ શકે છે અને તેથી જ તેની તપાસ જરૂરી છે.”
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટસમાં પણ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, જાધવની પત્નીએ જે જૂતા પહેર્યા હતા. તેમાં કેટલાંક મેટેલિક ઓબ્જેક્ટ લગાવેલા હતા. તપાસ એજન્સીઓને શંકા છે કે તે હાઇપર સેન્સેટિવ સ્પાય કેમેરા જેવું કંઈ હોઇ શકે છે.