ભારતીય બેંકો પાસેથી કરોડો રૂપિયાનું કર્જ લઈને લંડન ભાગી ગયેલા બીઝનેસમેન વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટીશ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે માલ્યા વિરુદ્ધ કાનૂની લડાઈ લડી રહેલી 13 બેન્કોને ઓછામાં ઓછા 2 લાખ પાઉન્ડ(1 કરોડ 81 લાખ રૂપિયા) વળતર આપે. ગયા મહીને જજ એન્ડ્ર્યુ હેન્શોએ માલ્યાની સંપતીઓને ફ્રીઝ કરવાના મામલા સાથે જોડાયેલા ફેસલાને બદલવાનો ઇનકાર કરી દીધો હતો. એમણે ભારતીય અદાલતના એ ફેસલાને બરકરાર રાખ્યો છે, જે મુજબ સ્ટેટ બેંકની આગેવાની વાળા 13 બેંકના સમુહે માલ્યા પર બાકી રહેલા લગભગ 12 હજાર કરોડ રૂપિયા વસુલવાના હકદાર છે.
આ બાબતે એક કનુની એક્સપર્ટે જણાવ્યું કે કોર્ટે આદેશ આપ્યો છે કે માલ્યા બેન્કોને વળતર ચુકવે. મૂળ આદેશ એ છે કે કોઈ એક રકમ પર બંને પક્ષો સહમત થઇ જાય અથવા બેંકો દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમનું કોર્ટ આકલન કરે. કોર્ટ દ્વારા ખર્ચનું આકલન કરવું એ અલગ પ્રક્રિયા છે. આ માટે બ્રિટનમાં કોસ્ટ જજની આદલતમાં સુનાવણી થાય છે. જોકે આ દરમિયાન માલ્યાએ બેન્કોને 2 લાખ પાઉન્ડ કાનૂની ખર્ચ રૂપે આપવા પડશે. જણાવી દઈએ કે માલ્યા વિરુદ્ધ કાનૂની લડાઈ લડી રહેલી બેન્કોમાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક, આઈડીબીઆઈ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મૈસુર, યુકો બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રકશન વગેરે શામેલ છે.
માલ્યા ભારતને પ્રત્યાર્પિત કરવા વિરુદ્ધ પણ અલગ કેસ લડી રહ્યા છે. માલ્યા પર 9 હજાર કરોડ રૂપિયાની ઉચાપત અને મની લોન્ડરિંગના આરોપ છે. એમણે બ્રિટનની કોર્ટ ઓફ અપીલમાં યાચિકા દાખલ કરી છે. ગયા વર્ષે એપ્રિલમાં પ્રત્યાર્પણ વોરંટ પર ધરપકડ કરાયા બાદ માલ્યા જામીન પર છે. માલ્યાના વકીલોએ એમના પર લાગેલા આરોપો રાજનીતિથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું અને ભારતીય જેલોની હાલત પર પણ સવાલ ઉઠાવ્યા હતા.