ભારતે ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા ઇન્ટરનેશનલ કોઓપરેશન રીવ્યુ ગ્રુપ મોનીટરીંગ માટે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુકવામાં આવ્યા બદલ સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા અપાયેલા નિવેદનમાં આતંકવાદને આશ્રય આપવા માટે પાકિસ્તાનને ઘેરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આતંકીઓનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહેવાના કારણે FATF દ્વારા પાકિસ્તાનને ગ્રે લીસ્ટ એટલેકે શકમંદોની યાદીમાં મુકવામાં આવ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદનું ફંડિંગ રોકવા માટે અને FATFના નિયમોનું પાલન કરવાનું આશ્વાસન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં હાફીઝ સઈદ જેવા આતંકીઓ અને જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબા, જઈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પાકિસ્તાનમાં સક્રિય છે. અને પાકિસ્તાન પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી નથી કરી રહ્યું.
ભારતે કહ્યું કે અમને આશા છે કે FATF એક્શન પ્લાનનું સમયબદ્ધ રીતે પાલન કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આતંકવાદ સાથે જોડાયેલી વૈશ્વિક ચિંતાઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પણ પોતાની જમીન પરથી આતંકી ગતિવિધિઓ રોકવા માટે વિશ્વસનીય ઉપાયો કરશે.
જણાવી દઈએ કે FATF પેરીસ સ્થિત આંતર-સરકાર સંસ્થા છે. આ સંસ્થાનું કામ ગેરકાનૂની આર્થિક મદદ રોકવા માટે નિયમો બનાવવાનું છે. FATF ના ગ્રે કે બ્લેક લીસ્ટમાં મુકાવા પર એ દેશને આંતરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી કર્જો લેવામાં તકલીફ પડે છે. ગ્રે લીસ્ટમાં જવાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઇ શકે છે.