ઘાસચારા ઘોટાળા મામલે સજા ભોગવી રહેલાં રાષ્ટ્રીય જનતા દળનાં ચીફ અને બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ આજે IRCTC ઘોટાળા મામલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ મારફતે હાજર રહેશે. આ મામલે તેજસ્વી યાદવ અને રાબડી દેવીને પહેલેથી જ જમાનત મળી ગયેલ છે.
લાલુ પ્રસાદની તબિયત ઠીક નથી અને રવિવારે એમની તપાસ કરી રહેલાં રાજેન્દ્ર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (રીમ્સ)નાં ડોકટરે જણાવ્યું હતું કે, લાલુ પ્રસાદનાં પગમાં ઘા લાગ્યો છે જેને કારણે એમની તબિયત વધુ ખરાબ થઇ ગઈ છે. ડાયાબિટીસનાં કારણે એમનાં જમણાં પગનો ઘા સુકાઈ રહ્યો નથી જેનાં લીધે તેઓને ચાલવામાં તકલીફ પડે છે.
લાલુ યાદવ જે 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા, તેઓ હાલ રાંચીની RIMS (રાજેન્દ્ર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ) માં પોલીસ કસ્ટડી હેઠળ ડાયાબિટીસ અને બીજી બીમારીની સારવાર મેળવી રહ્યાં છે.