અવકાશના રહસ્યો જાણવા માટે વિશ્વના વિવિધ દેશો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. હવે ભારત પણ સ્પેસ રેસમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્ર, મંગળ અને સૂર્યના અધ્યયન માટે મોકલવામાં આવેલા મિશનની સફળતા બાદ હવે ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO) શુક્ર ગ્રહના રહસ્યો જાણવાની તૈયારી કરી રહી છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે ભારત શુક્રના વાયુમંડળ અને તેના એસિડિક વાતાવરણના અભ્યાસ કરવા માટે એક મિશન મોકલશે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતની સ્પેસ એજન્સી ઈસરોની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ત્યાર બાદ ભારતે સૂર્યના રહસ્યો જાણવા માટે આદિત્ય L1 મિશન શરૂ કર્યું છે.
ઈસરોના અધ્યક્ષ સોમનાથે એક ઈવેન્ટ દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું હતું કે શુક્રનું વાયુમંડળનું દબાણ પૃથ્વી કરતા 100 ગણું વધારે છે, પરંતુ આટલા ઊંચા દબાણનું કારણ શું છે તે જાણી શકાયું નથી. શુક્ર ગ્રહની ચારે બાજુ એસિડથી ભરેલા વાદળોનું એક સ્તર છે. આ કારણે કોઈપણ અવકાશયાન શુક્રના વાયુમંડળને પાર કરીને તેની સપાટી પર પહોંચી શકતું નથી. તેમણે કહ્યું કે, સૌરમંડળની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ જાણવા માટે શુક્રનો અભ્યાસ જરૂરી છે.
શુક્ર અને મંગળને ધ્યાનથી જોઈશું તો ખબર પડશે કે ત્યાં જીવન કેમ નથી? આ રહસ્યને ઊંડાણપૂર્વક સમજવા અને જાણવા માટે મિશન મોકલવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ISRO શુક્રયાન મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે, ISRO શુક્રયાન ક્યારે લોન્ચ કરશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ભારતનું શુક્રયાન પ્રથમ શુક્રયાન મિશન હશે.
ભારતનું શુક્ર મિશન એક ઓર્બિટર મિશન હશે. આનો અર્થ એ છે કે શુક્રયાન શુક્રની આસપાસ ભ્રમણ કરતી વખતે અભ્યાસ કરશે. આ યાનમાં ઘણા વૈજ્ઞાનિક પેલોડ હશે. પરંતુ તેમાં લગાવવામાં આવેલ હાઇ રિઝોલ્યુશન સિન્થેટીક અપર્ચર રડાર અને ગ્રાઉન્ડ પેનિટ્રેટીંગ રડાર સૌથી મહત્વપૂર્ણ રહેશે.
સ્પેસ એજન્સી ISRO શુક્રયાન દ્વારા શુક્રની ભૌગોલિક રચના અને જ્વાળામુખીની ગતિવિધિઓનો અભ્યાસ કરશે. આ સાથે શુક્રની જમીન પર ગેસ ઉત્સર્જન, પવનની ગતિ, વાદળો અને અન્ય બાબતોનો અભ્યાસ કરશે. શુક્રની આસપાસ લંબગોળમાં શુક્રયાન ભ્રમણ ફરશે.
કેટલા વર્ષ સુધી અભ્યાસ કરશે?
શુક્રયાન મિશન ચાર વર્ષ સુધી શુક્રનો અભ્યાસ કરશે. આ દરમિયાન અવકાશયાન તૈયાર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શુક્રયાનને GSLV માર્ક II રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ યાનનું વજન 2500 કિલો હશે, જેમાં 100 કિલોના પેલોડ લગાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં તેમાં 18 પેલોડ લગાવવામાં આવશે. જો કે, કેટલા પેલોડ તૈનાત કરવામાં આવશે તેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે.
આ પણ વાંચો: Somnath/ ઈસરોના ચેરમેન છે શિવ ભક્ત, સોમનાથ મંદિરે દર્શને પહોંચ્યા
આ પણ વાંચો: Kidnapping/ આઠ વર્ષના બાળકનું અપહરણઃ ગણતરીના કલાકોમાં કેસ ઉકેલાયો
આ પણ વાંચો: Delhi/ ‘પન્નુ’એ વર્લ્ડ કપ દરમિયાન ભારતમાં મોટા આતંકવાદી હુમલાની ધમકી આપી!