ભાજપમાં ટિકિટ વહેંચણી પછી અસંતોષની આગ ભભૂકી ઉઠી છે. કાર્યકરોના ટોળેટોળા કમલમ્ જઈ રહ્યા છે. વાઘોડિયા બેઠક પરથી તો ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવે રાજીનામુ આપીને અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી છે. તેથી ટિકિટ કપાનાર બીજા ઉમેદવારો પણ તે રસ્તે ન ચાલે તે જોવાની જવાબદારી અમિત શાહના શિરે આવી છે.
કમલમ ખાતે બપોરે ત્રણ વાગે અમિત સાહની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલઅને સી.આર.પાટિલ પણ હાજર રહેવાના છે. આ બેઠકમાં અસંતુષ્ટોને શાંત કરવા ઉપરાંત બાકીના ઉમેદવારોની જાહેર કરવા અંગે પણ વિચારણા કરવામાં આવે તેમ મનાય છે.
ભાજપમાં ટિકિટ વહેંચણી પછી વાસ્તવમાં અસંતોષનો ચરુ કંઇક વધારે જ ઉકળેલો છે. તેના પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ પોતે મેદાનમાં ઉતર્યા છે. અમિત શાહ અસંતુષ્ટ ઉમેદવારોને કમલમમાં બોલાવીને વ્યક્તિગત ધોરણે મળે તેમ માનવામાં આવે છે. પણ ભાજપ તેના વર્તમાન નિર્ણયમાંથી તો પીછેહઠ નહી કરે તે હકીકત છે.