નિર્મલ પટેલ મંતવ્ય ન્યૂઝ કોસંબા
સુરત જિલ્લાના કામરેજ (kamjer) ખાતે આવેલ મીરા રેસીડન્સીમાં રહેતા યુવાનને મિત્ર મારફતે લગ્ન કરવાનું ભારે પડ્યું છે યુવાને 1.70 લાખ રૂપિયા રોકડા તેમજ દાગીના મળી કુલ 2 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. મિત્ર અને દલાલ મારફતે મહારાષ્ટ્રની યુવતી (Maharasthra girl) સાથે ધરમપુર જઈ ગત જાન્યુઆરી માસમાં લગ્ન નક્કી કર્યા હતા ત્યાર બાદ 21મી જાન્યુઆરીએ યુવાને લગ્ન કર્યા હતા. અને 4 ફેબ્રુઆરીના રોજ યુવતી સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાને લઈ યુવાને કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે 10 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનાં મોટા સુરકા ગામના રહેવાસી અને હાલ સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ મીરા રેસીડન્સીમાં રહેતા નરેશ શાંતિભાઈ રામાનુજ ડી.જે સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરે છે. ગત ડિસેમ્બર માસમાં ભાવનગર ખાતે હીરા મજૂરી કરતાં તેમના મિત્ર પ્રદીપભાઇ કાળુભાઇ રાજપૂતનો ફોન નરેશ ઉપર આવ્યો હતો અને જણાવ્યુ હતું કે તારે લગ્ન કરવા છે લગ્ન કરવા હોય તો નાસિક બાજુ તારું સેટિંગ કરવી દઉં છું. તેમ કહેતા નરેશભાઇએ હા પાડી હતી.
ત્યારબાદ વાત આગળ ચાલી હતી. પ્રદીપ રાજપૂતે તેના મિત્ર રાજુ પરસોત્તમભાઈ કોળી સાથે કામરેજ આવ્યા હતા. અને તેના મારફતે તેજા ભરવાડ ની સાળી સાથે લગ્ન કરી આપવાની વાત કરી હતી. અને છોકરી જોવા માટે વલસાડના ધરમપુર ખાતે જોવા જવાનું નક્કી કર્યું હતું. 29 ડિસેમ્બરના રોજ પ્રદીપ રાજપૂત અને રાજૂ કોળી તેમજ તેજા ભરવાડ, ભગવાન ભરવાડ સાથે ધરમપુર ગયા હતા.જ્યાં મહાદેવ ફળિયામાં એક ઘરમાં નરેશને લઈ ગયા હતા.ત્યાં પ્રજ્ઞા નામની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. ત્યાં પ્રજ્ઞાની બહેન સંગીતા તેના પતિ તારકભાઈ પ્રજ્ઞાના દાદા તેમજ તેના સંબંધી જીગરભાઈ તથા ગોવિંદભાઈ રબારીની પત્ની હાજર હતા. થોડા સમય બાદ પ્રજ્ઞા ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ બનેંના લગ્ન નક્કી થયા હતા.સગાઈ પેટે 5100 રૂપિયા અને શ્રીફળ નરેશે ગોવિંદભાઇની પત્નીને આપ્યા હતા, નરેશ પાસે પ્રજ્ઞાના સેંથામાં સિંદુર પુરાવ્યું હતું.અને લગ્ન પેટે 1.65 લાખ રૂપિયા આ તમામ વ્યક્તિ કામરેજ આવ્યા હતા ત્યારે તે દિવસે લઈ ગયા હતા ત્યારબાદ આ તમામ વ્યક્તિ પોતાના ઘરે જતાં રહ્યા હતા અને 21 જાન્યુઆરીના રોજ નરેશ અને પ્રજ્ઞાના સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા.
આ સમયે માત્ર પ્રદીપ રાજપૂત જ હાજર રહ્યો હતો. પ્રજ્ઞાના કોઈ સંબંધી હાજર રહ્યા ન હતા. ત્યારબાદ ગત 4 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞાને આપેલ સોનાની બુટ્ટી, ચાંદીના સાકળા, ચાંદીની વીંટી એક મોબાઈલ ફોન લઈ કોઈને કાઇ પણ કહ્યા વગર નરેશના ઘરથી રફુચક્કર થઈ ગઈ હતી.ત્યારબાદ નરેશ અને તેના પરિવારે અવાર નવાર પ્રજ્ઞાનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક નહીં થતાં આખરે નરેશે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.પોલીસે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે પ્રદીપ કાળુભાઇ રાજપૂત (રહે, મુંડીગામ, તા-ધોલેરા, જી-અમદાવાદ), રાજુભાઇ પરસોત્તમભાઈ કોળી (રહે, ગોલાળાગામ, તા-તારાપુર, જી-અમદાવાદ) તેજાભાઈ ગગજીભાઈ ભરવાડ (રહે, રોણીગામ, તા-ખંભાત), ભગવાન ભરવાડ (રહે, રોણીગામ), પ્રજ્ઞાબેન વસંતભાઈ રાઉલ, સંગીતાબેન તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ), તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ), જીગરભાઈ મહેશભાઇ પટેલ (રહે, ધરમપુર, જી-વલસાડ), ગોવિંદભાઈ રબારીની પત્ની, પ્રજ્ઞાબેનની માસીની છોકરી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.