ફરી કુદરતના ખોળે, ઋતુરાજ વસંત
અજબ ગજબ છે આ પ્રકૃતિની રચના, હંમેશા તેના રંગ રૂપ નિશ્ચિત સમય અંતરે અજાયબ રીતે બદલાય છે. ઋતુઓની વિવિધતાની પણ એક સુંદર રચના દરેક એ દરેક પ્રદેશમાં જુદી જુદી રીતે ગોઠવાયેલી છે.
દરેક જીવનું જીવન ઋતુના ક્રમ પ્રમાણે જીવાય છે અને તેની ઉપર નિર્ભર છે, ઋતુની ચડ ઉત્તર અને બદલાવની ની સીધેસીધી અસર દરેકે દરેક જીવ ની ઉપર થાય.
ભારત વર્ષમાં વસંત, શિશિર, હેમંત, ગ્રીષ્મ,વર્ષા અને શરદ એમ છ ઋતુ. દરેક ઋતુની અલગ વિવિધતા સભર ખાસિયત હોય છે અને તેની રચનાની ગૂંથણી એવી રીતે થઇ છે કે એક ની પાછળ એક પોતપોતાનો નિશ્ચિત ફાળો દરેક જીવ માટે નિસ્વાર્થ રીતે આપતી જાય.
વૈવિધ્ય પણે સર્વ જીવને જાણે નવ પલ્લવિત કરી દે તેવી ખૂબીઓ ના ખજાના વાળી ઋતુ એટલે ઋતુરાજ વસંત, ઋતુઓનો રાજા વસંત, વસંત આવે એટલે નવી સવારી લઈને પ્રકૃતિને નવા રંગ રૂપે મઢી દે જાણે કે નવોઢાએ શણગાર રચ્યા!
વસંત ઋતુ
પ્રકૃતિ પલ્લવિત
મન હિલ્લોરે
(હાઈકુ : જગત કીનખાબવાલા)
પૃથ્વીના દરેક જીવમાં નવો પ્રાણ ફુંકાય. વૃક્ષ, વનરાજી, વેલા, જીવ જંતુ, પ્રાણી, પક્ષી અને માનવી સર્વે પ્રફુલ્લિત થઇ જાય. વૃક્ષ, વનરાજી અને વેલામાં નવી કૂંપળો ફૂટે, જીવ જંતુ, પ્રાણી અને ખાસ કરીને પક્ષીઓ સમૃદ્ધ થઇ પોતાના બચ્ચાને જન્મ આપવા સજ્જ થવા માંડે. વસંત પંચમી થી શરુ થઇ ફેબ્રુઆરી મહિનાની મધ્યથી શરુ કરી અને લગભગ એપ્રિલ માસનો અંત એટલે ભારત વર્ષની વસંત ઋતુ અને ત્યારે તાપમાન ૨૦° – ૩૦° સેન્ટિગ્રેડ સમધાત ઋતુ હોય.
સર્વ મૃદુતા
ઋતુરાજ વસંત
રંગ તોફાને
(હાઈકુ : જગત કીનખાબવાલા)
અગાઉ નિષ્પ્રાણ લાગતા વૃક્ષ, વનરાજી અને વેલાઓમાં પાનખર પછીની નવી કૂંપળો ફૂટે અને તે ચમકતા નવા પાન બને.
તેની પાછળ ફૂલોની કળી અને ફૂલ આવે, રંગોનું તોફાન આવે અને તેને વધાવવા પતંગિયા, મધ માખીઓ અને પક્ષીઓ આવે અને તે સર્વે નવા જીવ પેદા કરે.
વસંતનું સામ્રાજ્ય એટલું મોટું અને હૃદય વિશાળ એટલે છુટ્ટે હાથે બધે પ્રકૃતિ ની વિવિધતા વહેંચાય. અંગો તોફાને ચડ્યા હોય તેમ ફૂલોમાં અનોખા રંગ ભરપૂર દેખાય, શ્રુષ્ટિના યૌવનની યશકલગી સજે અને સાથે શ્રુષ્ટિ સોળે શણગાર સજે!
ફૂલોની સૌરભ રસબતરકરી દે જેનાથી અપૂર્વ ઉત્સાહ સાથે વહેતી સુગંધિત હવા માદક લાગે. આ દરેક શણગારનું એક આગવું યોગદાન વસંતને ઋતુઓનો રાજા બનાવવામાં પોતાનું યોગદાન આપે છે.
ફૂલ ઉગે એટલે કેટલાક પક્ષી, પતંગિયા અને મધમાખીઓ તેમાંથી ખોરાક તરીકે ફૂલને નુકશાન ન થાય તેવી રીતે રસ ચૂસે, સાથે સાથે તેના થકી પરાગ રજ જીવને ચોંટીને ચોંટીને ફૂલોની પરાગ વહન કરવામાં રસ ના બદલામાં પોતાનું યોગ દાન આપે.
સાથે ફૂલમાં જે સૂક્ષ્મ જીવ હોય તેને પક્ષી આરોગી જાય. આ એક બીજા ઉપર નભતી કુદરતી શૃંખલા પોત પોતાનું કામ કરે
આ રીતે મળતો ખોરાક દરેક જીવને આ પ્રજનનની ઋતુ માટે શારીરિક ક્ષમતા પુરી પાડે, ત્યાર બાદ ફૂલમાંથી ફળ બને અને છેવટે ફળમાંથી બીજ બને જે નવા જીવ પેદા કરવા તૈયાર થઇ જાય.
દરેક જીવ અન્યોન્ય તેમજ એક બીજાને માદક પ્રેમ કરે, અને આ છે ઋતુરાજ વસંતનું સામ્રાજ્ય. જંતુઓ અને પંખીઓની શ્રુષ્ટિ મનોહારી છે. જળ,જમીન અને અન્ય પ્રાકૃતિક તત્વોની વિશાળ શ્રેણીમાં બનતા અને એકબીજા સાથે સરખાવી શકાય તેવા વિશિષ્ટ દાખલાઓ આપણને જોવા મળે છે.
આ ઋતુમાં ઘઉં અને ચોખાનો પાક ઉતરે, ફૂલ અને ફળ ઉતરે અને તે મનુષ્ય બારે માસ ખાય, ત્યાર બાદ બીજા પાકની ખેતી કરી શકે અને આમ દરેક જીવ જીવન જીવી પોતીકા જીવ પેદા કરી વૃદ્ધિ પામે.
જે હરિયાળી બની તે પહેલા પાનખરના પાન અને ડાળીઓની મદદથી પક્ષીઓ માળા બનાવી શકે. નવી ફૂટેલી હરિયાળીની અંદર નવા માળા બનાવે. નવા ઈંડા મૂકી નવા બચ્ચાને જન્મ આપે જેમાંના કેટલાક પ્રકૃતિની શૃંખલા પ્રમાણે બીજા પક્ષી અને નાના પ્રાણીના ખોરાક પણ બને.
આ ઋતુ પક્ષીઓની પ્રજનનની ઋતુ છે.
આ ગરમીના દિવસોમાં તે ઈંડા મૂકે અને પ્રજનન માટે પક્ષી ટહુકો અને વિવિધ અવાજ કરીને પોતાના સાથીને બોલાવે. આ પક્ષી પોતાના સમુહમાં રહે છે. પક્ષીનો એક સમૂહ પોતાના ગ્રુપમાં પોતાની જાતિના પક્ષીને પણ આસપાસ આવવા ના દે. સાથે સાથે બીજા પક્ષીની જાતને પણ પોતાની આસપાસ આવવા ના દે. દરેક સમૂહને પોતાનો એરિયા હોય અને તેઓ ટેરિટોરિયલ હોય.
આમ આ ઋતુમાં પક્ષીનો અવાજ સ્વાભાવિક રીતે વધારે સંભળાય. સાથે સાથે જો શાંતિનો માહોલ હોય તો આપણું ધ્યાન તેના તરફ વધારે જાય છે અને અવાજ મોટો અને ચોખ્ખો સંભળાય છે.
આ શ્રુષ્ટિની રચના અદભુત છે અને તેની શૃંખલા અકલ્પનિય રીતે ગોઠવાયેલી છે.
આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના નવા પ્રાણ
ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના
(કવિ શ્રી મનોજ ખંડેરિયા – સાભાર)
ગીતાના ૧૦માં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંબોધીને કહે છે કે સર્વ મહિનાઓમાં માર્ગશીર્ષ માસ હું છું અને સર્વ ઋતુઓમાં પુષ્પોની વૃદ્ધિ કરનાર વસંત ઋતુ હું છું.
@જગત કીનખાબવાલા, સ્પેરોમેન
Ahmedabad, ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ
Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો
covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….
ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…