ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચાર અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ ફૂંકી દીધો છે. વડાપ્રધાનના આગમનના પગલે ભાજપના કાર્યકરોમાં જોમ આવી ગયું છે. વડાપ્રધાને પણ ગુજરાતની મુલાકાતને તીર્થયાત્રા સમાન ગણાવી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે મતદારોને મળવું તે તો લોકશાહીની તીર્થયાત્રા છે.
વડાપ્રધાન દરેક સ્થળે સંબોધન કરતી વખતે તેની સાથે તે મુખ્યપ્રધાન તરીકે અને કાર્યકર તરીકે સંકળાયેલા જૂના સંસ્મરણોને પણ વાગોળે છે. આ દરમિયાન તે ભાવુક અને ગળગળા પણ થઈ જાય છે. પીએમ કહે છે કે હું ભાજપ માટે ગુજરાતની પ્રજાના આશીર્વાદ લેવા આવ્યો છું, જેથી તેઓ વધુ એક વખત ભાજપને રાજ્યની સેવા કરવાની તક આપી શકે. લોકોનો હર્ષનાદ અને સમર્થન અમારા જનસેવાના જુસ્સાને વધારે બેવડાવે છે એમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ આવી જ એક જનસભા બાવળા ખાતે સંબોધી હતી. બાવળામાં જનસભાને સંબોધન કરતા સમયે લીલાબાને યાદ કરી વડાપ્રધાન ભાવુક થઈ ગયા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે પણ બાવળા આવતો હતો ત્યારે લીલાબા અચૂક મળતા હતા, પરંતુ આ પ્રથમ વખત છે કે, જ્યારે લીલાબાની ખામી વર્તાય છે. સાથે જ મોદીએ કહ્યું કે, લીલાબાની ખામી દૂર કરવા માટે તેમના માતા માણેકબા 104 વર્ષની ઉંમરે પણ અહીં આવી મને આશીર્વાદ આપ્યા છે. મહત્વનું છે કે લીલાબા આખા ગુજરાતમાં જનસંઘના ચૂંટાયેલા પહેલા મહિલા જિલ્લા પંચાયતના સભ્ય હતા. અને જનસંઘ સમયથી જ લીલાબા સાથે નરેન્દ્ર મોદીનો આત્મીયતાનો સંબંધ હતો.
જો કે લીલાબાનું નિધન થઈ જતા આ વખતે માણેકબા નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીને માણેકબાએ કહ્યું કે, તમે 2024માં ફરી વડાપ્રધાન બનો ત્યાં સુધી મારે જીવવાનું છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ 2024ની શપથવિધિમાં આવવાનું માણેકબાને આમંત્રણ આપ્યું હતુ.
આ પણ વાંચોઃ