ગાંધીનગરમાં ઘણા સમયથી ઘ-5નાં વિસ્તારમાં ખાણી પીણીની લારીઓ ગલ્લાઓ ચાલતા હતા. તમામ લારી ગલ્લા ચલાવતા લોકોને યોગ્ય જગ્યા મળી રહે તે માટે સરકારે 2006 માં તમામ નાસ્તાની લારીઓનો સર્વે કર્યો હતો. તેમને કોઈ સમસ્યા ન થાય તે ઉદ્દેશથી સરકારે 2006 માં 95 દુકાનો આપવાની યાદી બહાર પાડી હતી પરંતુ થયું એવું કે 95 દુકાનો બનાવી તો ખરા પણ 2006 માં જે સર્વે થયો તે મુજબ દુકાનો આપવામાં ન આવી પરંતુ 1995ની યાદીનાં સર્વે મુજબ દુકાનો આપવામાં આવી, જેમાં 2006 માં કરેલ ગણતરીનાં સર્વેમાં 26 જેટલા ઈસમોને દુકાન ફાળવણી કરેલ નથી. જેથી તેઓએ સરકારને રજુઆત કરી તેમજ જે તે વિભાગમાં પણ રજુઆત કરી હતી. લાગતા વળગતા દરેક વિભાગમાં લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
2006નાં સર્વે મુજબ ઘ – 5 પાસે ચલાવતા લારી ગલ્લાઓ વાળાને એક એક દુકાન આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ જેના સેટિંગ હતા તે લોકોને દુકાનો ફાળવવામાં આવી. અને જેમનું સેટિંગ નહોતું તે લોકો આજ દિન સુધી દુકાનો માટે વંચિત રહી ગયા. ઘણા લોકોને સગાવ્હાલા સહિત પાંચ પાંચ દુકાનો (નિયમ વિરુદ્ધ) ફાળવવામાં આવી છે અને જેને એક દુકાન લેવી છે તેણે સર્વેમાં નામ લખાયું હોવા છતાં પણ દુકાન નથી મળી. ત્યારે ઘ- 5 રોડ ઉપર પરોઠા શાકની લારી ચલાવતા દુધાલાલ રબારીએ જણાવ્યું કે અમોએ ચૂંટણી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ તેમણે કીધું કે અત્યારે તમારી રોજી રોટી ચાલે છે તો ચલાવો ચૂંટણી પૂર્ણ થયા પછી આ બાબત ઉપર આપણે વિચાર કરીશું. વાત રોજી રોટીની છે. છતાં પણ સરકાર અને વહીવટી વિભાગ આ લોકોને ઉલ્લુ જ બનાવ્યા કરે છે.
સવાલ એ છે કે સર્વે 2006માં કર્યો હતો તો 1995નાં સર્વે મુજબ કેમ દુકાનો ફાળવવામાં આવી? કેમ જે લોકોનાં સર્વેમાં નામ લખાવ્યાં હોવા છતાં પણ કેમ દુકાનો ફાળવવામાં ન આવી? હજુ પણ દુકાનો ખાલી પડી છે તો પણ કેમ દુકાનો આપવામાં આવતી નથી? દુકાનથી વંચિત રહી ગયેલા લોકો ઘણા સમયથી રજુઆત કરતા આવ્યા છે. છતાં પણ આ લોકોને ન્યાય મળ્યો નથી. પોતાની રોજી રોટી કમાવવા માટે સરકારનાં કાર્યાલયમાં ધક્કા ખાય છે પણ કુંભ કર્ણની ઊંઘમાં ઊંઘેલી સરકાર અને તંત્ર ક્યારે જાગશે? અને આ લોકોને ન્યાય આપશે? ઘ-5 પાસે આવેલ ફ્રુડ કોર્ટ ચલાવતા લોકો સરકાર સમક્ષ સતત અવાજ લગાવી રહ્યા છે અને સરકર અને તંત્ર તેના અવાજ ને મજાક સમજી રહી હોય એવું લાગી રહ્યું છે.