@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કર્ણાટકના મુખ્યમંત્રીપદેતી યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ તેમના અનુગામી તરીકે તેમના જ પ્રધાનમંડળના અને તેમના જ લિંગાયત સમુદાયના સભ્ય એવા બસવરાજ બોમ્મઈની વરણી થઈ છે અને તેમણે કર્ણાટકના સરવાળા પ્રમાણે ગણો તો ૨૦મા મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઈ લીધા છે. જાણવા જેવી વાત એ છે કે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ તે કર્ણાટકના જ એક પુર્વ મુખ્યમંત્રી એસ.આર. બોમ્મઈના પુત્ર છે. આમ પહેલા પિતાએ આ સ્થાન સંભાળ્યું હતું. હવે પુત્ર આ સ્થાન સંભાળી રહ્યો છે. એસ.આર. બોમ્મઈ જનતા પક્ષના હતા અને પ્રખર રાજપુરૂષ એવા મુખ્યમંત્રી રામકૃષ્ણ હેગડેના અનુગામી હતા. જાે કે કર્ણાટકને લાગે વળગે છે ત્યાં સુધી આ પ્રથમ બનાવ નથી. આ પહેલા એચ.આર. દેવગૌડા કર્ણાટકના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. યેદિયુરપ્પાના પૂરોગામી તરીકે કોંગ્રેસની ભાગીદારીવાળી સરકારના મુખ્યમંત્રી તરીકે જેમણે સ્થાન સંભાળ્યું હતું તે પી. કુમારસ્વામી દેવગૌડાના પુત્ર છે. દેવગૌડા ૧૯૯૬માં તોડા સમયગાળા માટે કોંગ્રેસના ટેકા સાથે વડાપ્રદાન પણ બન્યા હતાં. હાલ તેઓ રાજ્યસભાના પણ સભ્ય છે. આમ દક્ષિણના પ્રવેશદ્વાર સમા કર્ણાટકને બીજીવાર મુખ્યમંત્રી તરીકે પિતા-પુત્રનો લાભ મળ્યો છે.
જાે કે કેન્દ્રની વાત કરીએ તો પંડિત જવાહરલાલ નહેરૂ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી દેશના વડાપ્રધાન હતા તો ૧૯૬૫થી ૧૯૭૭ અને ૧૯૮૦થી ૧૯૮૪ સુધી તેમના જ પુત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધી આ દેશના વડાપ્રધાન પદે હતા. તો ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ઈંદિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે. આમ પિતા-પુત્રી અને દોહિત્ર બાદ હવે રાહુલ કે પ્રિયંકા ગાંધી વડાપ્રધાન પદના દાવેદાર હોવાની વાત કોંગ્રેસના નેતાઓ અને ભક્તો એકથી વધુ વખત કહી ચૂક્યા છે.
એચ.ડી. દેવગૌડાના પુત્ર કુમારસ્વામી એકવાર નહિ પણ બે વકત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કર્ણાટકના પડોશી રાજ્ય તમિલનાડુમાં ડીએમકેના પાયાના પથ્થર એવા કરૂણાનીધી ૧૯૬૯થી ૨૦૧૧ સુધીના સમયગાળામાં પાંચ વખત મુખ્યમંત્રી બન્યા હતાં. જ્યારે તેમના પુત્ર સ્ટાલીન ૨૦૨૧માં યોજાયેલી ચૂંટણીમાં અન્ના ડીએમકેને પછાડીને તમીલનાડુના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત ચાર્જ સંભાળી પોતાના પિતાનો વારસો જાળવ્યો છે. આ સ્ટાલિનના પુત્ર અને જમાઈ પણ તમિલનાડુ વિધાનસભાના સભ્ય છે.
દક્ષિણના બીજા એક રાજ્ય વાય.એસ. રાજશેખર રેડ્ડી ૨૦૦૪થી ૨૦૦૯ના સમયગાળા દરમિયાન આંધ્રના મુખ્યમંત્રી હતાં. તેમના અચાનક નિધન બાદ જગનમોહન રેડ્ડી મુખ્યમંત્રી પદના દાવેદાર હતાં. છતાં કોંગ્રેસના મોવડી મંડળે જગનમોહન રેડ્ડીને મુખ્યમંત્રી ન બનાવતા તેમણે અનેક પડકારોનો સામનો કરીને વાય.આર.એસ. કોંગ્રેસ નામના નવ પક્ષની સ્થાપના કરી. ૨૦૧૪માં તેઓ ન ફાવ્યા પણ તેઓ લાંબા સંઘર્ષ બાદ ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી, ભાજપ અને કોંગ્રેસ સામે જબરદસ્ત લડત આપી આંધ્રના મુખ્યમંત્રી બન્યા છે.
પૂર્વનું મહત્ત્વનું રાજ્ય ઓરિસ્સામાં મુખ્યમંત્રી તરીકે બીજુ પટનાયકે ૧૯૯૧થી ૧૯૬૩ સુધી કોંગ્રેસી મુખ્યમંત્રી તરીકે અને ૧૯૯૯થી ૧૯૯૫ સુધી પોતાના સ્થાપેલા પક્ષ બીજુ જનતાદળ એટલે કે બીજેડીના નેજા હેઠળ શાસન કર્યુ હતું. તેમના પુત્ર નવીન પટનાયક ૨૦૦૦માં ભાજપની ભાગીદારી અને ટેકા સાથે ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા હતાં. તો ૨૦૦૫થી તેઓ ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષને પછાડી મુખ્યમંત્રી તરીકે આજની તારીખમાં પણ યથાવત છે અને દેશના મજબૂત અને પ્રમાણિક ચહેરા તરીકેની તેમની લાંબા સમયની છાપ છે.
દેશને પાંચથી વધુ વડાપ્રધાન આપનાર અને સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ સુધી રાજ કરનાર મુલાયમસિંઘ યાદવ કેન્દ્રમાં સંરક્ષણ મંત્રી જેવો જવાબદારીભર્યો હોદ્દો સંભાળી ચૂક્યા છે. પ્રખર સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયાના તેઓ શિષ્ય છે અને હાલ તેઓ સમાજવાદી પક્ષના માર્ગદર્શક છે. જ્યારે તેમના પુત્ર અખિલેશ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદનો હવાલો સંભાળી ચૂક્યા છે. આ વખતે એટલે કે ૨૦૧૨ની ચૂંટણીમાં પણ તેઓ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરવાના છે.
જ્યારે બિહારમાંથી અલગ પડેલા રાજ્ય ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક નેતા શીબુ સોરેન ત્રણ ટર્મ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલ તેમના પુત્ર હેમંત સોરેન કોંગ્રેસની ભાગીદારી સાથે બીજી વાર ઝારખંડનું મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે.
જ્યારે મહારાષ્ટ્રમાં શંકરરાવ ચવ્હાણ પણ મુખ્યમંત્રી હતાં અને તેમના પુત્ર અશોક ચવ્હાણને પણ મુખ્યમંત્રી બનવાની તક મળી હતી. મેઘાલયમાં અગાઉ પી.એ. સંગમા મુખ્યમંત્રી હતાં. હાલ તેમના પુત્ર કોનાર્ડ સંગમા આ રાજ્યનું મુખ્યમંત્રી પદ સંભાળે છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં પહેલા દોરજી ખોડુ મુખ્યમંત્રી હતા અને પ્રેમા ખોડુને પણ મુખ્યમંત્રી પદનો લાભ મળ્યો છે.
અત્યારે કેન્દ્રશાસિત બનેલા જમ્મુ-કાશ્મીરમાં પહેલા શેખ અબ્દુલ્લા પણ મુખ્યમંત્રી હતા ત્યારબાદ તેમના પુત્ર ફારૂક અબ્દુલ્લા પણ મુખ્યમંત્રી બન્યા હતાં અને ડૉ. ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લા પણ કોંગ્રેસના ટેકા સાથે મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે. જ્યારે આજે રાજ્યમાં મુફ્તી મહમદ સઈદ બાદ તેમના પુત્રી મહેબુબા મુફતી પણ મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
મધ્યપ્રદેશમાં ૧૯૬૨ આસપાસ ડો. શ્યામાચરણ શુકલ મુખ્યમંત્રી હતાં. તેમના પિતા પણ અગાઉ મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
જ્યારે પતિ-પત્નીની વાત કરીએ તો બિહારમાં લાલુપ્રસાદ યાદવ બાદ તેમની પત્ની રાબડી દેવી પણ બિહારનું મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યા છે. જ્યારે તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રનના અચાનક નિધન બાદ તોડા સમય માટે તેમના પત્ની પાર્વતી કૃષ્ણન મુખ્યમંત્રી બન્યા હતા. જાે કે અંતે તો આ મુખ્યમંત્રી પદ એમ.જી. રામચંદ્રનની ફિલ્મના હિરોઈન એવા જયલલિતાને ફાળે ગયુ હતું. આમ ભારતમાં વંશવાદનો સીલસીલો ક્યારેય અટક્યો નથી તેમ મુખ્યમંત્રી બદલવાનો ક્રમ પણ ચાલુ જ રહે છે. ભાજપશાસિત બે રાજ્યો પૈકી પહેલા ઉત્તરાખંડ અને ત્યાર બાદ વીસ દિવસમાં કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાયા છે.