માલેગાંવ વિસ્ફોટના એક પીડિતના પિતાએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ભોપાલથી ભાજપના ઉમેદવાર જાહેર થવા વિરુદ્વ અરજી દાખલ કરી છે. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર પીડિતના પિતાએ અરજીમાં એનઆઇએ કોર્ટની સામે સાધ્વીના સ્વાસ્થ્યનો હવાલો દેતા તેની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યો છે. હકીકતમાં તેનું મોટું કારણ એ છે કે સાધ્વી પ્રજ્ઞાની જામીન અરજી પર તેના સ્વાસ્થ્યનો હવાલો આપવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે બીજેપીએ બુધવારે ભોપાલ લોકસભા બેઠક માટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપી હતી. આ બેઠક પર તેનો સીધો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સામે થશે.
આ સિવાય માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા વિરુદ્વ એક એક્ટિવિસ્ટ તહસીન પૂનાવાલાએ પણ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી છે. તહસીને સાધ્વીની ઉમેદવારી પર સવાલ ઉઠાવતા તેની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને અપીલ કરી છે. તહસીને ફરિયાદમાં કહ્યું છે કે સાધ્વી પ્રજ્ઞા પ્રીંવેન્શન એક્ટ સહિત અન્ય અપરાધોમાં સામેલ છે. આ મામેલ 9 વર્ષ જેલમાં રહ્યા બાદ વર્ષ 2017માં અદાલતે ખરાબ સ્વાસ્થ્યને સંદર્ભે તેની જામીન અરજી મંજૂર કરી હતી.
તહસિને ફરિયાદમાં વધુમાં કહ્યું છે કે જ્યારથી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે ત્યારથી જ ચૂંટણી માટે મતોના ધ્રુવીકરણની રમત શરૂ થઇ ચૂકી છે. સાધ્વીએ લોકસભા ચૂંટણીને ધર્મ યુદ્વ નામ આપી દીધુ છે. તહસીને સાધ્વી પ્રજ્ઞા વિરુદ્વ આચારસંહિતા અનુસાર ઉચિત કાર્યવાહી કરવા તેમજ ચૂંટણીમાંથી ઉમેદવારી પર રોક લગાવવાની માંગ કરી છે.