નવી દિલ્હી,
લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી ઢંઢેરાને ‘જન અવાજ’ નામ આપવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરાની ટેગલાઇન ‘અમે નિભાવીશું‘ આપવામાં આવી છે. ઘોષણાપત્રની રજૂઆત સમયે રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી મનમોહન સિંહ, પી. ચિદંબરમ અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઘોષણાપત્રના કવર પેજનું નામ – હમ નિભાએંગે
રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘોષણાપત્રને બંધ બારણા પાછળ નહીં પરંતુ લોકોની વચ્ચે જઇને તૈયાર કરવામાં આવ્યું છે. ઘોષણા પત્રને તૈયાર કરવા માટે પૂર્વ મંત્રી પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી હતી. જે રીતે કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ હાથમાં પાંચ આંગળી છે એ રીતે જ અમારા ઘોષણાપત્રમાં પાંચ મહત્વના મુદ્દાઓને આવરી લેવાયા છે. ખેડૂત અને રોજગાર આ દેશના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ છે.
‘જન અવાજ’ના નામે પાંચ થીમ પર રજૂ કરાયેલા આ ચૂંટણી ઢંઢેરામાં નીચેના મુદ્દાઓને આવરી લેવાયા છે.
ચૂંટણી ઢંઢેરાની પાંચ મહત્વની થીમ અને મુદ્દાઓ:
ન્યાય – ગરીબી પર વાર 72 હજાર
કોંગ્રેસે જારી કરેલા ઘોષણા પત્રમાં આ વખતે ન્યાય મહત્વપૂર્ણ હોવાથી તેમણે કહ્યું હતું કે અમે દેશના 20 ટકા ગરીબ લોકોના ખાતામાં વાર્ષિક રૂ.72000 જમા કરાવીશું. એક વર્ષમાં 72000 એટલે કે 5 વર્ષમાં 3.60 લાખ. ખેડૂતો અને ગરીબોના ખિસ્સામાં આ રકમ સીધી જ જશે.
રોજગારી સર્જન
કોંગ્રેસની બીજી થીમ રોજગાર છે જે અંતર્ગત કોંગ્રેસ માર્ચ 2020 સુધીમાં 22 લાખ સરકારી નોકરીનું સર્જન કરશે. ગ્રામ પંચાયતમાં 10 લાખ યુવકોને રોજગારી આપવાનો વાયદો કર્યો છે. દેશના યુવાવર્ગને વ્યાપાર શરૂ કરવા માટે પ્રારંભના ત્રણ વર્ષ કોઇને મંજૂરી લેવી નહીં પડે. તે ઉપરાંત મનરેગા હેઠળ 100 ને બદલે 150 દિવસ રોજગારી અપાશે તેવું પણ વચન આપ્યું છે.
ખેડૂતો માટે અલગ બજેટની ફાળવણી
ખેડૂતોનો મુદ્દો પણ આ ઘોષણાપત્રની ત્રીજી મોટી થીમ છે. ખેડૂતો માટે એક અલગથી બજેટ હોવું જોઇએ. રેલવેની જેમ ખેડૂતો માટે પણ અલગ બજેટનું વચન આપ્યું છે. આ બજેટથી ખેડૂતોને તેની આવક, તેની એમએસપીમાં કેટલી વૃદ્વિ થઇ રહી છે તે અંગેની જાણકારી મળી રહેશે. જો કોઇ ખેડૂત દેવુ નહીં ભરી શકે તો તેની વિરુદ્વ ફોજદારી ગુનો નહીં ગણાય.
શિક્ષણમાં જીડીપીના 6 ટકા હિસ્સો ખર્ચાશે
શિક્ષણ ઘોષણાપત્રની ચોથી થીમ છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશના શૈક્ષણિક ક્ષેત્રમાં જીડીપીનો 6 ટકા હિસ્સો ખર્ચ કરવામાં આવશે તેવું વચન અપાયું છે. દેશની શૈક્ષણિક સંસ્થાઓને વધુ શ્રેષ્ઠ બનાવવામાં આવશે. યુનિવર્સિટી, આઇઆઇટી, આઇઆઇએમ જેવી ટોચની સંસ્થાઓમાં પણ ગરીબોને પ્રવેશ મળે તેવું વચન આપ્યું હતું.
સ્વાસ્થ્ય પર જોર
દેશના સૌથી ગરીબ લોકોને સૌથી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા પ્રાપ્ત થાય તેવું કોંગ્રેસનું લક્ષ્ય છે. કોંગ્રેસની સત્તા આવશે તો કોંગ્રેસ દેશને જોડવાનું કામ કરશે. નેશનલ અને ઇન્ટરલ પોલિસી કોંગ્રેસનું પહેલું પ્રાધાન્ય રહેશે. ગરીબોને સારી મેડિકલ સુવિધાઓ અને સવલતો પ્રાપ્ત થાય તે માટે સરકારી હોસ્પિટલોને વધુ સુદ્દઢ બનાવાશે. દેશના ગરીબોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોસ્પિટલમાં સારવાર મળી રહેશે તેવું કોંગ્રેસે વચન આપ્યું છે.
કઇ રીતે તૈયાર થયું ઘોષણા પત્ર?
ઘોષણા પત્ર બહાર પાડતા અગાઉ ઘોષણા પત્ર કમિટીના સભ્ય રાજીવ ગૌડાએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છતા હતાં કે આ વખતે ઘોષણા પત્રમાં કઈંક અલગ હોય. જે ફક્ત પાર્ટીના ઈતિહાસ નહીં પરંતુ દેશમાં પણ અલગ હોય.તેમણે જણાવ્યું કે કઈ રીતે આ મેનિફેસ્ટો તૈયાર થયો. એનઆરઆઈ નાગરિકો સાથે વાતચીત થઈ. દરેક ક્ષેત્રના એક્સપર્ટ સાથે વાત થઈ. દલિત, અલ્પસંખ્યક, ડોક્ટર, શિક્ષક, વ્યાપારીઓના પ્રતિનિધિઓ સાથે વાત થઈ. ઓનલાઇન પણ લોકોનો મત લેવામાં આવ્યા. લોકોએ ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ પર તેના સૂચનો મોકલ્યાં. એક લાખથી વધુ લોકોએ વિસ્તારથી તેની વાત રજૂ કરી. 20થી વધુ રાજ્યોમાં જનતા સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો.
ઘોષણા પત્ર સમિતિના અધ્યક્ષ ચિદમ્બરમે કહ્યું કે તેમાં મહિલાઓ, નાના વેપારીઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય, રાષ્ટ્રીય સુરક્ષાને પણ ધ્યાનમાં રખાઇ છે. જ્યારે મુંબઇની મહિલાઓને અગત્યના મુદ્દા વિશે પુછાયું તો તેઓનો જવાબ મહિલા સુરક્ષા હતો.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું: અમારા માટે આજે ઐતિહાસિક દિવસ
તેને ભવિષ્યની રાહ ચિંધનારું ઘોષણા પત્ર જણાવી કહ્યું કે આજનો દિવસ કોંગ્રેસ માટે ઐતિહાસિક કહી શકાય. ગરીબી, બીમારી જેવી સમસ્યાઓથી ઝઝુમી રહેલા દેશ માટે ખૂબ જ જરૂરી યોજનાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ઘોષણા પત્ર લોકોની આશા, અપેક્ષાઓને પૂર્ણ કરનારું બની રહેશે.