@કામેશ ચોકસી, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
મધુ શ્રીવાસ્તવની નારાજગી
સૂત્રોનાં હવાલેથી ખબર સામે આવી છે કે વાઘોડીયા ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ભાજપ પક્ષ સામે નારાજગી ચાલી રહી છે.મધુ શ્રીવાસ્તવ વાઘોડીયાનાં ભાજપનાં ધારાસભ્ય છે જો કે હાલમાં મધુ શ્રીવાસ્તવ વિવાદનાં કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકની ભાજપે વોર્ડ નંબર 15માંથી ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્રણ સંતાનો મુદ્દે ભાજપના જ ઉમેદવારે વાંધો ઉઠાવી પુરાવા રજુ કરતા ચૂંટણી અધિકારીએ દિપકનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું.બીજી બાજુ મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દીપક શ્રીવાસ્તવ બાદ પુત્રી નીલમને પણ ભાજપ પક્ષ દ્વારા ટિકિટની ફાળવણી નથી કરાઇ.મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમે જિલ્લા પંચાયતની ગોરાજ બેઠક પર ટિકિટ ફાળવણીની માગ કરી હતી પણ ભાજપ પક્ષ દ્વારા નિલમને બદલે કલ્પના પટેલને ટિકીટ અપાતા મધુ શ્રીવાસ્તવની ભાજપ પક્ષ સામે નારાજગી સામે આવી છે જેને કારણે ભાજપ પક્ષે મધુ શ્રીવાસ્તવનાં સંતાનોને ટિકિટ ના આપતા હવે નારાજગીનો દોર સામે આવ્યો છે.
વિધાનસભા અધ્યક્ષની ઓફિસે હોબાળો
વાઘોડીયાનાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરામાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસે જઇ રાજીનામુ આપવાની વાત વહેતી થઇ હતી.સાંજે મધુ શ્રીવાસ્તવ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસે મળવા પહોંચ્યા હતા અને બાદમાં ઓફિસે હોબાળો કર્યો હતો જેને લઇને વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો .
માની જશે મધુ શ્રીવાસ્તવ કે પછી…?
સૂત્રોનાં હવાલેથી મળતી ખબર અનુસાર વાઘોડીયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને પોતાની નારાજગી અંગે ચર્ચા કરી હતી જો કે મધુ શ્રીવાસ્તવને સંતોષકારક જવાબ ના મળતાં આગામી રવિવારે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણી વડોદરામાં ભાજપમાં પ્રચાર પ્રસાર અર્થે પ્રવાસ કરી શકે છે તે પ્રસંગે મુખ્યમંત્રીને રૂબરૂ મળી મધુ શ્રીવાસ્તવ રાજીનામુ આપે તેવી અટકળો પણ વહેતી થઇ છે.જો કે હવે જોવાનું રહેશે કે ભાજપ ડેમેજકંટ્રોલ ખાળવામાં સફળ થશે કે પછી મધુ શ્રીવાસ્તવ રાજીનામુ આપશે કે પછી ત્રીજા રસ્તા તરીકે ભાજપ પક્ષ દ્વારા વચલો રસ્તો શોધી મધુ શ્રીવાસ્તવને મનાવી લેવાશે તે આવનારો સમય જ જણાવશે.