@ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા થયેલી લાખોની ચોરીની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે, પૂર્વ આયોજિત કાવતરું રચીને ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ ઈસમોને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે આરોપીઓ પાસેથી પોલીસે 7 લાખ રૂપિયા રોકડા તેમજ 1.13 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
જુહાપુરામાં 28મી માર્ચે રાતના સમયે અજાણ્યા ઇસમોએ યુવકનાં ઘરમાં રાખેલી પેટીમાંથી 7 લાખ રોકડ તેમજ 1 લાખ 13 હજારની કિંમતના દાગીના એમ કુલ મળીને 8 લાખ 13 હજારની ચોરી થઈ હતી, જે બાબતે વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ફરિયાદીની પ્રાથમિક પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અને તેના મિત્રો ઇમરાન કુરેશી, રિયાઝ કુરેશી અને જાવેદ કુરેશી સાથે તે ધોળકા હઝરતશા બાવાની દરગાહ ખાતે ઇમરાન કુરેશીના દીકરાની બાધા પુરી કરવા માટે જવાના હતા, પરંતુ રિયાઝ કુરેશીની તબિયત સારી ન હોવાથી રીયાઝ આવ્યો ન હતો. જેથી આ ગુનામાં રિયાઝ કુરેશી પહેલેથી જ પોલીસનાં શંકાના દાયરામાં હતો, જેથી પોલીસે ઇમરાનની અને રિયાઝની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ઈમરાન અને રિયાઝના નિવેદનો અલગ-અલગ જણાઇ આવ્યા હતા. તેઓના પરિવારની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે સલીમ કુરેશીને ચોરીનાં એક દિવસ પહેલાથી જ ઇમરાન કુરેશીના ઘરે રોકાયો હતો, જેથી પોલીસે બાતમીના આધારે સલીમ કુરેશીને ફતેવાડીથી ઝડપી પાડી યુક્તિ-પ્રયુક્તિ અને કડકાઈથી પૂછપરછ કરતાં ત્રણે જણાએ ચોરીના ગુનાની કબુલાત કરી હતી. ઘરફોડ ચોરીમાં ગયેલા મુદ્દામાલ પહેલાં રિયાઝના ઘરે અને તે બાદ ઇમરાનના ઘરે રાખ્યો હતો, જેથી ઇમરાનને સાથે રાખીને વેજલપુર પોલીસે 7 લાખ રોકડ અને સોના-ચાંદીના 1.13 લાખની કિંમતના દાગીના એમ કુલ મળીને 8.30 લાખ ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે.
ચોરી કરવા પાછળનો હેતુ જાણવા માટે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે ફરિયાદી તેમજ ચોરી કરનાર ઇમરાન કુરેશીએ ઘણાં જૂના મિત્રો છે અને અવારનવાર એકબીજાના ઘરે આવનજાવન કરતા હતા, જે દરમિયાન આરોપી ઈમરાને ફરિયાદીના ઘરમાં પતરાની પેટી તાળું મારેલી જોઈ હતી, જે પેટીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ હોવાનું તેને અનુમાન હતું. આરોપીના માથે દેવું થઈ જતાં અને હાલમાં જ તેને બાળક આવ્યું હોય અને વતનમાં જવાનું હોવાથી પૈસાની તંગીને કારણે પોતાના બંને મિત્રો રિયાઝ અને સલીમ સાથે મળીને આ કામના ફરિયાદીના ઘરે ચોરી કરવાનું આયોજન કર્યું હતું. ઈમરાન કુરેશીએ ફરિયાદીને કોઈપણ બહાને બહારગામ લઈ જવાનું નક્કી કરી અને મિસકોલ મારીને અન્ય શખ્સોને પોતે ઘરની બહાર નીકળી ગયા તે અંગેની સાઇન આપશે, જે પછી અન્ય આરોપીઓ ફરિયાદીના ઘરમાં જઈને ચોરીને અંજામ આપવાનું નક્કી કરાયું હતું. ચોરીમાં જે પણ વસ્તુઓ મળે અથવા તો રોકડ મળે તેને સરખા ભાગે વેચવાનું નક્કી કરાયું હતું. જેથી બનાવના દિવસે ઇમરાને પહેલેથી જ પોતાના મિત્ર સલીમને જુહાપુરા ખાતે પોતાના ઘરે બોલાવી લીધો હતો અને પોતાના ઘરે ધાબા પર સુવડાવીને પોતાના દીકરાની બાધા હોવાનું કહીને ફરિયાદી, તેના મિત્ર જાવેદને બાધા કરવાનું કહીને ધોળકા લઈ ગયો હતો. રસ્તામાં જતા રિયાઝે પ્લાન મુજબ અન્ય શખ્સોને મિસકોલ મારી ચોરી કરવા માટે જવાનું સૂચન આપતા બંને આરોપીઓ ફરિયાદીના ઘરે જઈને ચોરી કરી હતી તેવી કબુલાત કરી છે, આરોપીઓએ ગુનામાં વાપરેલી ગાડી તેમજ ચોરીમાં ગયેલા રોકડા 7 લાખ અને 1.13 લાખાની કિંમતના સોના ચાંદીના દાગીના સહિત બે મોબાઇલ ફોન અને પતરાની પેટી એમ કુલ આઠ લાખ 81 હજારનો મુદ્દામાલ વેજલપુર પોલીસે કબ્જે કર્યો છે.
આ મામલે વેજલપુર પોલીસે જુહાપુરાના ઇમરાન કુરેશી, રિયાઝ કુરેશી અને મહંમદ સલીમ કુરેશીની ઘરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તેમજ ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલો આરોપી મોહંમદ સલીમ વર્ષ 2015માં રાજસ્થાન અજમેર ખાતે હત્યાના ગુનામાં પકડાયેલા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ તમામ આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.