ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવી રહ્યા છે. પાંચેય રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી પહેલા ઘણા નેતાઓ પૂજા પાઠ કરી તેમની જીત માટે તેમના આશીર્વાદ માંગી રહ્યા છે. દરેકની નજર ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો પર છે અને બધાની નજર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અનેક દિગ્ગજ નેતાઓ પર છે. ચૂંટણી પરિણામો પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિરમાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. મોટાભાગના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર જોવા મળી હતી. આજે ચૂંટણીના પરિણામો બાદ અનેક દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે.
બીજી તરફ પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ આજે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણી પરિણામો પહેલા રોપરના ગુરુદ્વારામાં પૂજા અર્ચના કરી હતી. પંજાબમાં કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં ચૂંટણી લડી છે. જ્યારે અહીં આમ આદમી પાર્ટીએ ભગવંત સિંહ માનને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા હતા. પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. અહીં બહુમતનો આંકડો 59 છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં ચૂંટણી પરિણામોને લઈને હોબાળો વધુ તેજ બન્યો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવતે પ્રાર્થના કરી છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે.
ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનશે કે કોંગ્રેસની જીત એ આજે મતગણતરી બાદ નક્કી થશે. બધાની નજર ઉત્તરાખંડની હોટ સીટ ખાતિમા પર છે, જ્યાંથી રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસના ભુવન કપરી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત આ વખતે લાલકુઆંથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.