મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 500 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. જેમાં મોડી સાંજે 91 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 100થી વધ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ત્યારે જામનગરના વિજયભાઈ ગોસ્વામીના પરિવારે બપોરે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ઝૂલતા પર તેની ક્ષમતા કરતા વધુ માણસો હોવા અંગે જાણ કરી હતી. પરિવારે પુલનું મેનેજમેન્ટ કરતી ઓરેવા કંપનીને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે પુલ પર કેટલાક યંગ સ્ટર્સ મસ્તી કરી રહ્યાં છે અને તેના કારણે પુલને ડેમેજ થઈ રહ્યું છે.
આ સિવાય પુલની ક્ષમતા કરતા પણ વધુ લોકો અહીં હાજર હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે આ રજૂઆત બાબતે પુલનું મેનેજમેન્ટ સંભાળતી કંપનીએ આંખ આડા કાન કર્યા હતા અને વિજયભાઈના પરિવારે કરેલી ફરિયાદને હળવાશથી લીધી હતી. જો નિયત ક્ષમતા બાબતે તકેદારી અને લોકોને કૂદતા અટકાવવામાં આવ્યા હોત તો કદાચ આ ઘટના ટળી હોત.