નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને લઈને દેશનાં જુદા જુદા ભાગોમાં વિરોધ વચ્ચે મોદી સરકારનો ઘેરાવ કરવા વિપક્ષ સજ્જ છે. પરંતુ વિપક્ષી એકતાને હવે આંચકો લાગ્યો છે. જણાવી દઇએ કે, 13 જાન્યુઆરીએ દિલ્હીમાં વિપક્ષની બેઠકમાંથી મમતા બેનર્જી બાદ હવે માયાવતી પણ કિનારો કરી દીધો છે. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે.
માયાવતીએ સોમવારે એક પછી એક ટ્વીટ કર્યાં હતા. તેમણે એક ટ્વિટમાં કહ્યું હતુ, ‘જેમ કે જાણીતુ છે કે રાજસ્થાન કોંગ્રેસ સરકારને બસપાએ ટેકો આપ્યો હોવા છતાં, તેણે બીજી વખત બસપાનાં ધારાસભ્યોને તોડ્યા છે અને તેમની પાર્ટીમાં જોડ્યા છે જે સંપૂર્ણપણે વિશ્વાસઘાત છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળ વિપક્ષ દ્વારા આજે બોલાવાયેલી બેઠકમાં બસપાનું જોડાવવું, તે રાજસ્થાનમાં પાર્ટીનાં લોકોનું મનોબળ ઓછુ કરવા બરાબર થશે. તેથી, બસપા તેમની બેઠકમાં ભાગ લેશે નહીં.
બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, ‘બસપા સીએએ/એનઆરસી વગેરેની વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારને અપીલ છે કે આ વિભાજનકારી અને ગેરબંધારણીય કાયદાને પાછો ખેંચી લે. ઉપરાંત, જેએનયુ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને લઇને રાજકારણ રમવુ દુર્ભાગ્યપૂર્ણ છે.
આ અગાઉ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અને ડાબેરીઓ પર બંગાળમાં ગંદી રાજનીતિ રમવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, મેં 13 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં સોનિયા ગાંધી દ્વારા બોલાવેલ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે કારણ કે હું પશ્ચિમ બંગાળમાં ડાબેરી અને કોંગ્રેસ હિંસાને ટેકો આપતી નથી. બેનર્જીએ કહ્યું કે, ડાબેરી મોરચા અને કોંગ્રેસનું બે પ્રકારનાં વલણને સહન કરવામાં આવશે નહીં. તેણે એમ પણ કહ્યું છે કે હવે તે નાગરિકતા કાયદો અને એનઆરસી સામે એકલા લડશે.
કેન્દ્ર સરકારની નીતિઓનાં વિરોધમાં બુધવારે તૃણમૂલનાં વડા અને બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાબેરી મોરચા અને કોંગ્રેસના બંગાળ બંધ પર પ્રહાર કર્યો હતો. હિંસક દેખાવો, તોડફોડ, અગ્નિદાહ અને ટ્રાફિક વિક્ષેપ અંગે નારાજગી વ્યક્ત કરતાં મમતાએ કહ્યું હતું કે, બંધનાં નામે ગુંડાગીરી ચલાવવામાં આવી રહી છે. તેને આંદોલન ન કહી શકાય. તેમણે કહ્યું કે, પોલીસ વહિવટની તોડફોડ કરનારા સામે કડક કાર્યવાહીનાં નિર્દેશ આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.