Ahmedabad News: જામનગર અને અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડર મેરામણ પરમારના (Meraman Parmar) મોતને લઈને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પરિવારની ફરિયાદ મુજબ તેમનું મોત કુદરતી નહીં પરંતુ વ્યાજખોરોના કથિત માનસિક ત્રાસને કારણે આપઘાતનું પગલું ભરવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મેરામણ પરમારના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જામનગરના વાઢેર પરિવાર તથા દોમડીયા પરિવારના સભ્યો સહિત કુલ 11 વ્યક્તિઓ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનો દાવો છે કે વ્યાજના વ્યવહારોની આડમાં મેરામણ પરમાર સાથે જોડાયેલી આશરે રૂ.153 કરોડથી વધુની 28 જેટલી મિલકતો પર (Money Lending Case) કબજો મેળવવામાં આવ્યો હતો.
Meraman Parmar નું રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું નામ
મેરામણ પરમાર જામનગર તેમજ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જાણીતા બિલ્ડર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વર્ષ 2016માં તેમણે સૌરાષ્ટ્રમાં આશરે રૂ.6.5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી હતી, જેના કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ પરિવારના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી તેઓ નાણાકીય વ્યવહારો અને મિલકતોને લઈને ગંભીર દબાણનો સામનો કરી રહ્યા હતા. હવે તેમના પુત્ર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ (Adalaj Police) બાદ આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
મોત બાદ મળી કથિત બે નોટો
ફરિયાદ મુજબ, મેરામણ પરમારના અવસાન બાદ તેમના પરિવારને ઘરમાંથી એક બંધ કવર મળ્યું હતું. આ કવર પર પરિવારના સભ્યોની હાજરીમાં ખોલવાની સૂચના હોવાનું જણાવાયું છે. પરિવારે કવર ખોલતાં તેમાં મેરામણ પરમારના હસ્તાક્ષરમાં લખાયેલી બે નોટો મળી હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે. આ નોટોમાં કેટલાક વ્યક્તિઓ પાસેથી નાણાકીય વ્યવહાર અને મિલકતોને લઈને કથિત ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
વાઢેર પરિવાર સામે કરોડોના વ્યવહારના આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મેરામણ પરમારે કેટલાક નાણાકીય વ્યવહારોમાં મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં સિક્યુરિટી તરીકે રાખવામાં આવેલી મિલકતો પરત ન આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારનો આરોપ છે કે નાણાકીય હિસાબ ચૂકતે થયા બાદ પણ મિલકતો પરત મેળવવામાં મુશ્કેલી ઊભી કરવામાં આવી હતી અને વધુ રકમની માગણી થતી હતી. આ કારણે મેરામણ પરમાર માનસિક દબાણ હેઠળ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બેંક સ્ટેટમેન્ટ અને દસ્તાવેજોની તપાસથી 28 મિલકતોનો દાવો
મેરામણ પરમારના પુત્ર દેવ પરમાર અને તેમના ભાગીદાર હરીશ ઓડેદરાએ કથિત નોટો મળ્યા બાદ બેંક સ્ટેટમેન્ટ તથા સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની તપાસ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ તપાસ દરમિયાન જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી આશરે 28 જમીનો અને પ્લોટોના દસ્તાવેજો સામે આવ્યા હોવાનો પરિવારનો દાવો છે. ફરિયાદ મુજબ, આ મિલકતોની કિંમત કુલ મળીને રૂ.153 કરોડથી વધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મિલકતના વેચાણની રકમ અંગે પણ સવાલ
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલીક મિલકતોના દસ્તાવેજોમાં વેચાણની રકમ દર્શાવવામાં આવી હતી. પરંતુ પરિવારના જણાવ્યા મુજબ, સંબંધિત રકમ ચેક મારફતે મેરામણ પરમાર અથવા તેમની પેઢીઓના ખાતામાં જમા કરાવ્યા બાદ ટૂંકા સમયગાળામાં અન્ય સંબંધિત વ્યક્તિઓ અથવા પેઢીઓના ખાતામાં પરત ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તો મિલકતોના વ્યવહારમાં કથિત ગેરરીતિનો વધુ ખુલાસો થઈ શકે છે તેવી ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.
સ્કૂલની મિલકતને લઈને પણ ગંભીર આક્ષેપ
ફરિયાદમાં જામનગરના ઢીચડા વિસ્તારમાં આવેલી નંદ વિદ્યા નિકેતન સ્કૂલની મિલકતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે નાણાકીય રોકાણ સામે સ્કૂલની મિલકતનો એક હિસ્સો સિક્યુરિટી તરીકે દસ્તાવેજી પ્રક્રિયા દ્વારા લેવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, લાંબા સમય સુધી નાણાકીય ચૂકવણી અને વ્યાજના વ્યવહારો થયા બાદ પણ મિલકતના દસ્તાવેજો પરત કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ વધુ રૂ.3.50 કરોડની માગણી કરીને કથિત રીતે માનસિક દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
11 લોકો સામે અડાલજ પોલીસમાં ફરિયાદ
આ સમગ્ર મામલે દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં કુલ 11 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. તેમાં વાઢેર પરિવારના ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ વાઢેર, વિરેન્દ્રસિંહ વાઢેર, શૈલેન્દ્રસિંહ વાઢેર સહિત પરિવારના અન્ય સભ્યોના નામ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દોમડીયા પરિવારના પ્રવિણ લક્ષ્મણ દોમડીયા, કાંતાબેન પ્રવિણ દોમડીયા અને વિશાલ પ્રવિણ દોમડીયાના નામ પણ ફરિયાદમાં સામેલ છે.
પરિવારની રજૂઆત બાદ તપાસનો દોર શરૂ
ફરિયાદમાં મિલકતોના (Property Fraud Case) દસ્તાવેજો, બેંક ખાતાઓના વ્યવહારો, કથિત નોટો અને અન્ય નાણાકીય પુરાવાની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આક્ષેપોની સત્યતા અને સમગ્ર નાણાકીય વ્યવહાર અંગેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની તપાસ થવાની બાકી છે અને આરોપીઓ સામેના આક્ષેપો કોર્ટમાં સાબિત થવાના બાકી છે.
2020માં પણ વિવાદાસ્પદ ઘટના બની હતી
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2020માં મેરામણ પરમાર સાથે આવી જ ગંભીર ઘટના બની હતી. તે સમયે પણ તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે તેમના મોત બાદ કથિત નોટો અને નાણાકીય દસ્તાવેજો સામે આવતાં પરિવાર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસની માગ કરવામાં આવી છે.
કરોડોની મિલકતો અને નાણાકીય વ્યવહારો તપાસના કેન્દ્રમાં
આ કેસમાં એક તરફ બિલ્ડરના મોતને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, તો બીજી તરફ કરોડો રૂપિયાની મિલકતો અને નાણાકીય વ્યવહારોને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ તપાસમાં કથિત નોટોની પ્રામાણિકતા, બેંક ટ્રાન્ઝેક્શન, મિલકતોના દસ્તાવેજો, વ્યવહારોમાં સામેલ વ્યક્તિઓ અને નાણાકીય હિસાબની ચકાસણી કરવામાં આવે તેવી શક્યતા છે. તપાસ બાદ જ રૂ.153 કરોડની મિલકતો અંગેના આક્ષેપોમાં કેટલી હકીકત છે અને કોની ભૂમિકા હતી તે સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: ‘મારા માટે આ બધા મારા ભાઈ જ છે’, 49 વર્ષથી મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે આ બહેન
આ પણ વાંચો: સુરત મનપામાં ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય, ડેપ્યુટી કમિશનરની જગ્યાઓ હવે આ રીતે ભરાશે
આ પણ વાંચો: રક્ષાબંધન પર શામળાજી અને ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાનને બાંધવામાં આવી સોનાની રાખડી
