અમદાવાદ,
રાજ્યના સરહદી જિલ્લા એવા કચ્છ જિલ્લાના ગાંધીધામના ટેક્સી ડ્રાઈવર શખ્સનો આતંકી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાની માહિતીના આધારે મુંબઈની એટીએસની ટીમે તેની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન મુંબઈ એટીએસની ટીમે ગુજરાત પોલીસને સાથે રાખી હતી. આ ટેક્સી ડ્રાઈવર તેના અન્ય સાથીઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં બોમ્બ ધડાકા જેવી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈ એટીએસને મળેલા ઇનપુટસના આધારે તેની એક ટીમ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે દોડી આવી હતી. મુંબઈ એટીએસની આ ટીમે આવીને ગાંધીધામ ખાતે છૂટક રીતે ટેક્સી ડ્રાઈવિંગનું કામ કરતા એવા 32 વર્ષીય અલ્લારખા ખાનની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ છૂટક ડ્રાઈવિંગનું કામ કરતો અલ્લારખા ખાન મુંબઈના આતંકવાદી હુમલા જેવા ગંભીર ગુનાઓમાં આરોપી રહેલા આતંકવાદી સાથે સીધા સંપર્કમાં રહેતો હતો. જેના કારણે મુંબઈ એટીએસની ટીમે તેની ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ એટીએસે દાઉદ, છોટા રાજન અને આઈએસઆઈ દ્વારા ગુજરાત, મુંબઈ સહિતના અનેક સ્થળોએ એક સાથે આતંકવાદી હુમલાઓ કરવાની યોજનાનો પર્દાફાશ કરીને આખી ચેઈન પકડી પડી છે. જેના અંતર્ગત મુંબઈ એટીએસ દ્વારા મુંબઈમાંથી મિર્ઝા ફૈઝલ હસનને ઝડપી લીધો હતો. આ ફૈઝલ હસન મિર્ઝાની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે વર્ષ ૨૦૦થી દુબઈમાં સંતાયેલા ફારુક દેવડીવાલા અને ગાંધીધામમાં રહેતા અલ્લારખા ખાનના નામનો ઉલ્લેખ કર્યો હતો.
મુંબઈ પોલીસ લાંબા સમયથી ફારુકને શોધી રહી હતી પરંતુ તેનો કોઈ અતોપતો મળતો ન હતો. પરંતુ ફૈઝલ હસન મિર્ઝાની ધરપકડ બાદ મળેલી માહિતી તાત્કાલિક દુબઈ પોલીસને આપવામાં આવી હતી. જેના આધારે ફારુક સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી. જેના લીધે દુબઈ પોલીસ દ્વારા ફારુકની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફૈઝલની માહિતીના આધારે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ આવી હતી. આ ટીમે ગુજરાત પોલીસને સાથે રાખીને ગાંધીધામ પહોંચી હતી અને ત્યાંથી ટેક્સી ડ્રાઈવર અલ્લારખા ખાનની ધરપકડ કરીને મુંબઈ લઇ ગઈ છે.