કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની લખનૌ એરપોર્ટ પર પહોંચ્યા છે. શુક્રવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને સાંસદ સભ્યો અને પક્ષના પદાધિકારીઓની બેઠકમાં તે હાજરી આપશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન મહામંત્રી સુનીલ બંસલ આ બેઠકમાં ભાગ લેશે.
અજય મિશ્રાએ કહ્યું કે આજે તેમનો પુત્ર આશિષ મિશ્રા હાજર થયો ન હતો પરતું તે કાલે એટલે કે શનિવારે હાજર રહેશે. તેમણે કહ્યું કે મારા પુત્રને ગઈકાલે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તબિયત સારી ના હોવાના લીધે તે પોલીસ સમક્ષ હાજર થઈ શક્યો ન હતો. તે આવતીકાલે હાજર રહેશે. રાજીનામાની માંગ અનુસંધાનમાં કેન્દ્રીય મંત્રી અજ્ય મિશ્રાએ કહ્યું કે એ વિપક્ષની માંગ છે.
ગુરુવારે સાંજે પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ઘરે નોટિસ ચોંટાડી હતી. અગાઉ આઈજી લક્ષ્મી સિંહે મુખ્ય આરોપી આશિષ મિશ્રા મોનુને સુપરવિઝન કમિટી સમક્ષ હાજર થવા નોટિસ મોકલવાનું કહ્યું હતું, ત્યારબાદ પોલીસે આશિષ મિશ્રા મોનુની શોધમાં સંભવિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી, પોલીસે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ઘરની બહાર નોટિસ ચોંટાડી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શનિવારે આશિષ મિશ્રાની ધરપકડ થઈ શકે છે.