સંતરામપુર નગર પાલિકાની આર્થિક સધ્ધરતાઓ જોવાના બદલે અંદાઝે ૧૩ લાખ રૂપિયાની વૈભવી ગાડી ખરીદ કરવાના કારોબારી સમિતિના નિયમ વિરુદ્ધના ઠરાવને સામાન્ય સભામાં મંજૂરી આપનાર પાલિકાના ૨૨ સદસ્યોને ગાંધીનગર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન કચેરીના કમિશનર દ્વારા કલમ-૩૭ મુજબ સભ્યપદેથી દૂર કેમ નહિ કરવા આ સંદર્ભમાં કારણદર્શક નોટીસ આપીને કાયદેસર સુનાવણીમાં ગાંધીનગર ખાતે હાજર રહેવાના આદેશ કરવામાં આવતા સંતરામપુર પાલિકાના રાજકીય મોરચે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
સંતરામપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ લીલાબેન ડામોરના સત્તાકાળ દરમિયાન પાલિકાની આર્થિક સધ્ધરતાઓની અવગણનાઓ કરીને તા.૪/૫/૨૦૧૮ના રોજ યોજાયેલ કારોબારી સમિતિની બેઠકના ઠરાવ નંબર ૧૬ થી ફોર વ્હિલર ગાડી ખરીદ કરવા માટેનો જે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવને તા.૧૨/૭/૨૦૧૮ની સામાન્ય સભામાં ઠરાવ નંબર ૧૩ થી પાલિકાના ૨૨ સદસ્યોએ બહાલી આપી હતી.
આ સામાન્ય સભાના ઠરાવના આધારે સંતરામપુર નગર પાલિકા દ્વારા અંદાઝે ૧૩ લાખ રૂપિયાની વૈભવી કાર ખરીદ કરવામાં આવી હતી. ખરેખર તો રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના ઠરાવ પ્રમાણે “ક” અને “ડ” વર્ગમાં સમાવેશ નગર પાલિકાઓને ગાડી ખરીદ કરવા માટે ૫ લાખ રૂપિયાની મર્યાદામાં રાજય સરકારની પૂર્વ મંજૂરીઓ લેવાની હોય છે. પરંતુ “ડ” વર્ગમાં સમાવેશ સંતરામપુર નગર પાલિકાના તત્કાલીન શાસકોએ સરકારના આ આદેશોના ઉલ્લંઘન સાથે સામાન્ય સભામાં બહુમતીના આધારે ઠરાવ પસાર કરીને અંદાઝે ૧૩ લાખ રૂપિયાની વૈભવી કાર ખરીદ કરવાના આ શોખ સામે હવે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના કમિશનર કચેરી દ્વારા નગર પાલિકાના ૨૨ સદસ્યોને ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૭(૧) હેઠળ એટલે કે સભ્યપદેથી ગેરલાયક કેમ નહિ ઠેરવવા આ અંગે હાથ ધરાયેલ કાયદેસર કાર્યવાહીમાં આગામી તા.૧/૭/૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે સુનાવણીમાં હાજર રહેવાના આદેશ કરતા સંતરામપુર નગર પાલિકાના રાજકીય મોરચે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય રહે કે પૂર્વ પ્રમુખ લીલાબેન ડામોરના સત્તાકાળમાં આ વિવાદાસ્પદ નિર્ણયમાં સાથ આપનાર આ ૨૨ સદસ્યો પૈકી વર્તમાન પાલિકા પ્રમુખ સુનિતાબેન ખાંટનો પણ સમાવેશ થાય છે.