સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને બે મહિલાઓએ ઈતિહાસ રચી દીધો છે. ૪૪ વર્ષીય કનકદુર્ગા અને ૪૦ વર્ષીય બિંદુએ તેમની સુરક્ષાને લઈને હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમની આ અપીલ પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનવણી કરશે. તેમણે અપીલમાં કહ્યું છે કે રાજ્યમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનના લીધે તેમના જીવને જોખમ છે. દરેક જગ્યાએ તેમનો વિરોધ થઇ રહ્યો છે.
૪૪ વર્ષીય કનકદુર્ગાના સાસુએ થોડા દિવસ પહેલા તેના માથા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ લગાવતા તેણે કહ્યું કે મંગળવારે સવારે જયારે હું ઘરે પરત આવી ત્યારે મારા સાસુએ કથિત રીતે મારા માથા પર હુમલો કર્યો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
શું છે મામલો ?
મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.
બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
મંદિરનું કરાયું હતું શુદ્ધિકરણ
આ બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લીધે મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની શુદ્ધિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક મહિલાના પ્રવેશને મંજુરી આપી દીધી હતી.