લખનઉ
હાલમાં જ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાથ અને પગમાં વધારે આંગળીઓ હોવાને લીધે એક માસૂમના જીવ પર ખતરો મંડરાઈ રહ્યો છે અને જેના લીધે તેઓએ પોલીસની મદદ લીધી છે. બાળકના પિતાએ પોલીસની મદદ માંગી છે કારણકે તેમના બાળકને હાથ અને પગ બંનેમાં 12-12 આંગળીઓ છે અને જેના લીધે તેમના સગાવ્હાલા તેમના દીકરાને મારવા ઈચ્છે છે. આ મામલા પર પોલીસે કહ્યું છે કે તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.
માસૂમના માતાપિતાના કહેવા પ્રમાણે તેમના સાગાવ્હાલા તેમના દીકરાને મારી નાખવા માંગે છે કેમ કે એક તાંત્રિકે તેઓને કહ્યું છે કે જો તેઓ આ 24 આંગળી ધરાવતા બાળકની હત્યા કરશે તો તેઓ ધનવાન બની જશે. જોવાની વાત એ છે કે એક બાજુ આપણે આધુનિકરણ અપનાવી રહ્યા છીએ અને બીજી બાજુ દેશમાં હજુ ઘણા એવા લોકો પણ છે જે આજની તારીખમાં પણ આવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે.
પોલીસ ફરિયાદમાં બાળકના પિતાએ લખાવ્યું છે કે આ ભયના લીધે તેઓ તેમના દીકરાનું શાળામાં જવાનું પણ બંધ કરાવી દીધું છે.
આ સમગ્ર મામલામાં બારાબંકીના સીઓ ઉમાશંકર સિંહે કહ્યું છે કે અમને આ પ્રકારની ફરિયાદ મળી છે અને આ મામલામાં હું ઉચિત કાર્યવહી કરીશ અને બાળકને શિક્ષાથી વંચિત નહિ રાખું. આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાળકના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે આથી જ્યાં સુધી હું છુ, ત્યાં સુધી તેના અભ્યાસનો બધો ખર્ચ ઉઠાવીશ.