શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગત ૧૪ જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા ઓરંગઝેબ નામના આર્મીના જવાનનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, પરંતુ ઓરંગઝેબના પિતા મોહમ્મદ હનીફે પોતાના પુત્રનો બદલો લેવા માટેની વાત કહી હતી.
જો કે હવે, બે મહિના જેટલા સમય બાદ શહીદ ઓરંગઝેબના ગામના નજીકના ૫૦ મિત્રોએ આ બદલો લેવા નક્કી કર્યું છે. આ માટે તેઓ ખાડીના દેશોમાંથી સારા પગારોવાળી નોકરીઓ છોડીને પાછા ફરી રહ્યા છે અને તેઓનું લક્ષ્ય સેના અથવા તો પોલીસમાં ભરતી થઈને આતંકીઓ સામે પોતાના મિત્રની હત્યાનો બદલો લેવા માંગે છે.
મીડિયા રિપોર્ટ મુજબ, મોહમ્મદ કિરામત અને મોહમ્મદ તાજે જણાવ્યું છે કે, તેઓને ઓરંગઝેબના મૃત્યુન માહિતી મળ્યા બાદ તેઓએ નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો. કિરામતે જણાવ્યું હતું કે, “સાઉદીમાં નોકરી છોડવા માટેની પરવાનગી નથી, પરંતુ અમે કોઈ પણ પ્રકારે આ કર્યું છે. અમારો એક ઈરાદો છે, ઓરંગઝેબની શહાદતનો બદલો“.
ગત ૧૪ જૂને આતંકીઓએ ઓરંગઝેબનું અપહરણ કરીને કરી હતી હત્યા
મહત્વનું છે કે, ગત ૧૪ જૂનના રોજ ભારતીય સેનાના જવાન ઓરંગઝેબ જયારે ઈદ મનાવવા માટે રજા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આતંકીઓએ તેઓનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ એ જ દિવસે રાત્રે ગોળીઓ દ્વારા ક્ષત-વિક્ષિત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આતંકીઓએ ઓરંગઝેબને મારતા પહેલા એક વીડિયો જાહેર કર્યો હતો.
પોલીસ અને સેનાના જવાનોનું અપહરણ કરી રહ્યા છે આતંકવાદીઓ
આતંકવાદીઓ દ્વારા ૧૪ જૂનના રોજ ઓરંગઝેબની અપહરણ કર્યા બાદ આ સિલસિલો હજી યથાવત જ રાખ્યો છે, તે જોવા મળી રહ્યું છે.
ઓરંગઝેબ બાદ આતંકીઓએ ૬ જુલાઈના રોજ જાવેદ અહેમદ ડારને કિડનેપ કરીને હત્યા કરી હતી. ત્યારબાદ ૨૯ જુલાઈના રોજ વધુ એક મુદાસિર અહેમદ નામના પોલીસ જવાનનું અપહરણ કર્યું હતું, જો કે તેઓની માતાની અપીલ બાદ આતંકીઓએ બે દિવસ બાદ તેઓને છોડી મુક્યા હતા.