મુંબઇ,
દેશભરમાં ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા બોમ્બે હાઈકોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ (રેરા)ને અત્યારે ચાલી રહેલ પ્રોજેક્ટો પર પણ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે રેરાની બંધારણીય માન્યતા પણ યથાવત રાખવા માટેનો આદેશ આપ્યો છે. આ કાયદાને થોડા સમય પહેલા જ સંસદમાં મંજુર કરવામાં આવ્યો હતો. આ કાયદો ઘર ખરીદનાર ગ્રાહકોના અધિકારોની રક્ષા કરે છે અને તેમની સમસ્યાઓના સમાધાનનો માર્ગ દર્શાવે છે. જો કે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં બિલ્ડરોને પણ થોડી રાહત આપી છે. જે મુજબ હવે કેટલાક કેસમાં બિલ્ડરોને પ્રોજેક્ટ પુર્ણ કરવા માટે વધારે સમય આપવામાં આવશે. જો કે આ વધારા સમયની મર્યાદા જે તે કેસના આધારે નક્કી કરવામાં આવશે.
જસ્ટીસ નરેશ પાટિલ અને આર જે કતકરની ખંડપીઠે અલગ અલગ પણ એક સમાન ચુકાદો આપ્યો હતો. જેમાં રજિસ્ટ્રેશન દરમિયાન પ્રોજેક્ટ પ્રમોટર તરફથી આપવામાં આવેલી ડેડલાઈનમાં એક વર્ષ સુધીની છુટછાટ મળવા પાત્ર રહેશે. રેરાને બિલ્ડરો દ્વારા હાઈકોર્ટમાં પડકારવા સંદર્ભે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ગત સપ્ટેમ્બર મહીનામાં સુપ્રિમ કોર્ટે આ મામલાની હાઈકોર્ટમાં સુનાવણી માટે જણાવ્યુ હતુ. બિલ્ડરોને ખાસ કરીને રેરાની કલમ ૩ને લઈને વિરોધ હતો. આ કલમ અંતર્ગત અત્યારે ચાલી રહેલ પ્રોજક્ટનુ રજિસ્ટ્રેશન ફરજીયાત બનાવી દેવામાં આવ્યુ હતુ. આ અંગે બિલ્ડરોએ વિરોધ નોધાવતા જણાવ્યુ હતુ કે આ પહેલાના પ્રોજેક્ટોમાં થયેલ વિલમનુ પણ નુકશાન તેમને ભોગવવુ પડશે. જેથી આ જોગવાઈ રદ્દ થવી જાઈએ.