નવી દિલ્હી,
કર્ણાટક વિધાનસભાની ચુંટણી બાદ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ હજી પણ સરકારના મંત્રીમંડળની વહેચણીને લઇ તકરાર યથાવત જોવા મળી રહી છે. 23 મેના રોજ એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં, પરંતુ ત્યારબાદ હજી સુધી કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કેબિનેટને સહમતી સધાઈ નથી.
ત્યારે હવે સરકારના મંત્રીમંડળની વહેચણીને લઇ જોવા મળતી તકરારને લઇ કુમારસ્વામી રાજધાની દિલ્હી પહોચ્યા છે. દિલ્હી પહોચ્યા બાદ તેઓ સૌપ્રથમ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટ પહોચ્યા હતાં.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ ગૃહ મંત્રાલય, સિંચાઈ સહિતના મુખ્ય મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે ત્યારે જેડીએસ નાણા મંત્રાલય સીએમ કુમારસ્વામી પાસે રાખવાની માંગ કરી રહ્યું છે.
બંને પાર્ટીઓ વચ્ચે નક્કી કરવામાં આવેલી ફોર્મુલા મુજબ, જેડીએસને PWD તેમજ કૃષિ ખાતું મુખ્ય રીતે આપવામાં આવી શકે છે જયારે કોંગ્રેસ પાર્ટી કેબિનેટના મુખ્ય મંત્રાલયો પર કબ્જો કરવા માંગે છે.
આ કારણે બંને પાર્ટીઓ વચ્ચે સહમતી સધાઈ શકી નથી અને શપથવિધિ બાદ 5 દિવસ પછી પણ હજી સુધી તકરાર યથાવત છે. ત્યારે કુમારસ્વામી દિલ્હી પહોચ્યા છે અને તેઓ કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી છે.
કેબિનેટના મંત્રાલયોની વહેચણીને લઇ દિલ્હીમાં કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ વચ્ચે વાતચીત થઇ છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના ઘર પર થયેલી બેઠકમાં મુખ્યમંત્રી કુમારસ્વામી, એચડી રેવન્ના, અહમદ પટેલ, દિ કે શિવકુમાર, મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધારમૈયા અને કે સી વેણુગોપાલ શામેલ થયા હતાં.
જો કે, આ બેઠક બાદ કુમારસ્વામીએ કહ્યું હતું કે, “આ બેઠક સકારાત્મક રહી છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતાં કારણ કે, તેઓ હાલ સારવાર માટે વિદેશ રવાના થઇ ગયા છે.