લખનઉ,
તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં સ્થાનિક વિપક્ષી પાર્ટીઓએ વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપને જોરદાર ટક્કર આપી છે, ત્યારે સમાજવાદી પાર્ટી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા કોઈ પણ સંજોગોમાં બસપાનો સાથ છોડવા માંગતી નથી.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના વિજયરથને રોકવા માટે સપા યુપીમાં બસપાની જુનિયર પાર્ટી બનવા માટે પણ તૈયાર થઇ ગઈ છે. આ માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે લોકસભાની સીટોની કુરબાની આપવા માટે પણ પોતાની તૈયારી દર્શાવી છે.
માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીને હરાવવા માટે “બુઆ” અને “બબુઆ” લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન બનાવી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે મૈનપુરીમાં એક સભાને સંબોધતા કહ્યું, “ગઠબંધન માટે તેઓ ત્યાગ માટે પણ તૈયાર છે અને જયારે તેઓને આ ગઠબંધન માટે બે-ચાર સીટો ઓછી કરવા માટે સમજૂતી કરવી પડે તો તેઓ પાછળ હટશે નહિ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, બસપાના સુપ્રીમો માયાવતીએ કૈરાના લોકસભા પેટા ચૂંટણી પહેલા સાફ કર્યું હતું કે, “જયારે તેઓને સન્માનજનક રીતે સીટો આપવામાં નહિ આવે તો તેઓ એકલા જ ચૂંટણી લડશે”.
જો કે ત્યારબાદ માયાવતીના આ નિવેદનને રાજકીય રીતે એક મોટા નિવેદન તરીકે જોવામાં આવ્યું હતું.
બીજી બાજુ મૈનપુરીમાં અખિલેશ યાદવે વધુ એકવાર ગઠબંધન માટે પોતાના હથિયાર માયાવતી સામે નીચે મુક્યા છે અને ત્યાગના નામ પર તેઓએ માયાવતીને સિનિયર પાર્ટનર તરીકે પણ સ્વીકાર કર્યા છે.
ત્યારે હવે જોવાનું રહ્યું કે, “પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના લગભગ જુનિયર પાર્ટનર બનવાની તૈયારી બાદ બંને પાર્ટીઓ વચ્ચે સીટોને લઈ કયા પ્રકારે સમજૂતી થાય છે”.
આ પહેલા ફૂલપુર અને ગોરખપુરની પેટા ચૂંટણીમાં સપાને બસપાએ સમર્થન કર્યું હતું અને શાનદાર વિજય મેળવ્યો હતો જયારે ભાજપનો પરાજય થયો હતો. આ જ કારણ છે કે, અખિલેશ યાદવ કોઈ પણ સંજોગોમાં બસપાનો સાથ છોડવા માટે તૈયાર નથી.
મહત્વનું છે કે, ૨૦૧૪માં ઉત્તરપ્રદેશની કુલ ૮૦ લોકસભા બેઠકો માંથી ભાજપ સહિત NDA ગઠબંધનની પાર્ટીઓએ ૭૩ સીટો પર વિજય પ્રાપ્ત થયો હતો, જયારે સપાએ ૫, કોંગ્રેસે ૨ અને બસપાનું ખાતું પણ ન ખુલ્યું ન હતું.