નવી દિલ્હી,
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે રાજધાની દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરના ભાજપના મંત્રીઓ તેમજ નેતાઓની મીટીંગ બોલાવી છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ 2019ની લોકસભા ચુંટણીને લઈને પાર્ટીની સ્ટ્રેટેજી વિશે ખુલાસા કરવામાં આવશે તેમજ જમ્મુ-કાશ્મીરની રાજનૈતિક હાલત વિશે પણ માહિતી મેળવવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર ભાજપ ના એક નેતાએ જણાવ્યું કે ભાજપના બધા મંત્રીઓને નવી દિલ્હીમાં એક મીટીંગ માટે બોલાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દર રૈના અને પાર્ટીના જનરલ સેક્રેટરી(સંગઠન) અશોક કોલને પણ મીટીંગમાં બોલાવવામાં આવ્યા છે. આ બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં થશે અને પાર્ટીના જનરલ સેક્રેટરી(સંગઠન) રામલાલ પણ ઉપસ્થિત રહેશે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ મીટીંગ વિવિધ મુદ્દાઓ જેવાકે સંઘર્ષ વિરામ અને તેની અસરો, 2019 લોકસભા ચુંટણીની તૈયારીઓ, સાથી પક્ષો સાથેના સંબંધો વગેરે પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે રમઝાન મહિનામાં આતંકીઓ અને ઉપદ્રવીઓ સામે સંઘર્ષ વિરામનું એલાન કર્યું હતું, જે રમઝાન માસ પૂરો થતા અને ઇદના બીજા દિવસે પત્રકાર શુજાત બુખારી, રાયફલમેન ઔરંગઝેબ સાથે કરવામાં આવેલા હિંસક કૃત્યના કારણે રવિવારે પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું.
ઇદની પૂર્વ સંધ્યાએ ભાજપ અને આરએસએસનું સ્પષ્ટ વલણ હતું કે સંઘર્ષ વિરામનો અંત કરવામાં આવે. આ સમગ્ર મુદ્દાની રાજકીય અસર અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે
અમરનાથ યાત્રા, કે જે હિંદુઓ માટે હમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને કોઈ પણ કમનસીબ ઘટના વગર પૂરી થઇ શકે એ માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. કઠુઆ રેપ અને મર્ડર કેસ, રાજ્યમાં કાનૂની વ્યવસ્થા વગેરે બાબતે પણ મીટીંગમાં ચર્ચા કરવામાં આવશે.
જણાવી દઈએ કે 2014માં થયેલી લોકસભા ચુંટણીમાં ભાજપે ઉધમપુર,જમ્મુ અને લડાખ એમ પાંચ માંથી ત્રણ લોકસભા સીટો જીતી હતી. ભાજપ અને પીડીપી વચ્ચે તણાવની સ્થિતિ, રાજ્યમાં આતંકીઓ અને ઉપદ્રવિઓ દ્વારા બગડતી સ્થિતિ વગેરે 2019ની લોક્સભા ચુંટણીમાં ભાજપનો ખેલ બગડી શકે છે.