નવી દિલ્હી,
આવનારા સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન મોંઘુ થઇ શકે છે. આરબીઆઈએ બધી બેંકોને એટીએમ આધુનિક કરવાનો નિર્દેશ કર્યો છે. જેના કારણે નાણાકીય બોજ વધી શકે છે. બેંકોએ આ બોજ ગ્રાહકો પર ઢોળવા માટે આરબીઆઈ પાસેથી મંજુરી માંગી છે. બેંકોએ આરબીઆઈ પાસે એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાની પરવાનગી માંગી છે.
બેંકિંગ સુત્રોએ જણાવ્યું કે એટીએમ આધુનિક કરવાની કિંમત વસુલ કરવા માટે બેંકો એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં બે રીતે વધારો કરી શકે છે. તેઓ ફ્રી ટ્રાન્ઝેક્શન ખતમ થવા પર લાગતા 18 રૂપિયાના ચાર્જમાં વધારો કરી શકે છે. અથવા એટીએમથી ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડી શકે છે.
એટીએમ ફ્રોડ અને હેકિંગની વધતી ઘટનાઓને ગંભીરતાથી લેતા આરબીઆઈએ બધી બેંકોને એટીએમ આધુનિક કરવા કહ્યું છે. આ માટેની ડેડલાઇન 6 ભાગોમાં વહેચવામાં આવી છે. પહેલી ડેડલાઇન ઓગસ્ટ 2018 છે. જયરે છેલ્લી ડેડલાઇન જુન 2019 છે. એટીએમ અપગ્રેડેશન હેઠળ બેંકો બેઝીક ઈનપુટ આઉટપુટ સીસ્ટમને આધુનિક કરશે.
આરબીઆઈએ બેંકોને એટીએમમાંથી યુએસબી પોર્ટ ડિસેબલ કરવા માટે કહ્યું છે. એટીએમની ઓપરેટીંગ સીસ્ટમ આધુનિક કરવા સાથે નવી નોટ મુજબ કેસેટોને રી-કન્ફિગર કરવાનું શામેલ છે.
એટીએમ ઇન્ડસ્ટ્રીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે એટીએમ આધુનિક કરવા માટેનું અમારું બજેટ અમે બેંકોને મોકલી દીધું છે. આરબીઆઈનો નિર્દેશ છે તો નિશ્ચિત રીતે બેંકોએ ફોલો કરવો જ પડશે. નવા આધુનિક એટીએમ લગાવવાનું બજેટ પણ વધી જશે. નવા એટીએમની કિંમત પહેલાની સરખામણીમાં 30 ટકા જેટલી વધી જશે.