બેંગલુરુ,
દેશભરમાં બાર કે રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટનામાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં આર્થિક રાજધાની મુંબઈમાં આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ આઈટી હબ બેંગ્લુરુમાં પણ આગની ઘટનાને પાંચ લોકોનો ભોગ લીધો છે. બેંગ્લુરુમાં ગત રાત્રે ૨.૩૦ વાગ્યે એક બારમાં અચાનક આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાર કે. આર. માર્કેટના કુંબારા સાંધા બિલ્ડિંગમાં આવેલુ છે. જ્યાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આ સમયે રેસ્ટોરન્ટની અંદર સુઈ રહેલા પાંચ લોકોને પોતાની ઝાળમાં લપેટી લીધા હતાં. જેથી તેઓના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ સ્વામી, પ્રસાદ, મહેશ, મંજુનાથ અને કિર્તી તરીકે કરવામાં આવી છે. જયારે હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.
કેટલાક લોકોએ વહેલી સવારે રેસ્ટોરન્ટમાંથી ધુમાડો આવતો જાયો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. જેથી માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જોકે હજુ આગ લાગવાનું કારણ મળ્યું નથી.
મહત્વનુ છે કે, ગત સપ્તાહે મુંબઈમાં આગ લાગવાની બે ઘટના સામે આવી હતી. જેમાં પ્રથમ ઘટનામાં એક પબમાં આગ લાગવાના કારણે ૧૫ લોકોના મોત થયા હતા. જ્યારે બીજી ઘટનામાં ચાર લોકોનો ભોગ લીધો હતો. તેથી કહી શકાય કે, એક પછી એક વિવિધ સ્થળ પર અચાનક આગ લાગવી અને જેમાં નિર્દોષ વ્યક્તિનો ભોગ બને તે ખરેખર દયનીય હાલત છે.