દિલ્લી,
આગામી ૨૬ જાન્યુઆરી, ગણતંત્ર દિવસ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં હુમલો કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગત રાત્રે મથુરા નજીક ભોપાલ શતાબ્દી એક્સપ્રેસમાંથી એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અન્ય બે લોકો હજી દિલ્હીમાં છુપાયેલા હોવાની આશંકાના આધારે દિલ્હીમાં હોટલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, તપાસમાં સામે આવ્યું કે, બન્ને શંકાસ્પદ એક દિવસ પહેલા જ હોટલોમાંથી ફરાર થઈ ગયા છે. ત્યારબાદ દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ ઉત્તરપ્રદેશ એટીએસ અને આઈબી આ શંકાસ્પદોને શોધવામાં લાગેલ છે.
ધરપકડ કરેલા આ શંકાસ્પદ આતંકીઓ ૨૬મી જાન્યુઆરીના રોજ મુખ્ય પરેડ કાર્યક્રમ અને દિલ્હીના અક્ષરધામ મંદિરમાં હુમલો કરવાની તૈયારીમાં હતા. દિલ્હીથી ભોપાલ શતાબ્દીમાં જઈ રહેલા આ શખ્સની હરકતો ટીટીને શંકાસ્પદ લાગતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તેની મથુરા નજીકથી ધરપકડ કરી લીધી છે, તેનુ નામ બિલાલ અહમદ વાની હોવાનુ સામે આવ્યુ છે.
મૂળ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી એવો બિલાલ અહમદ પોતાના મિત્ર સાથે હુમલાની યોજનાને અંજામ આપવા દિલ્હી આવ્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, તેના અન્ય બે સાથીઓ દિલ્હીની જામા મસ્જિદની હોટલ અલ-રશીદમાં રોકાયેલા છે. જેથી પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં જાણવા મળ્યુ છે કે, ૩ જાન્યુઆરીએ આ લોકો ત્યાં આવ્યા હતા પરંતુ ૬ જાન્યુઆરીએ રાત્રે ૮ઃ૩૦ કલાકે ત્યાંથી નીકળી ગયા છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ અત્યારે તેમની શોધખોળ કરી રહી છે.