નવી દિલ્હી,
કેન્દ્રની મોદી સરકારમાં સંસદીય કાર્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા અનંત કુમારનું સોમવારે દુઃખદ નિધન થયું છે. અનંત કુમાર છેલ્લા કેટલાક સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા.
૫૯ વર્ષીય અનંત કુમારે બેંગલુરુ સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા તેઓનો લંડન અને ન્યૂયોર્કમાં ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. ત્યારબાદ ૨૦ ઓક્ટોબરના રોજ બેંગલુરુની એક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા.
અનંત કુમારની વાત કરવામાં આવે તો, તેઓની ગણના ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓમાં થાય છે. તેઓ દક્ષિણ ભારતની સાથે સાથે ઉત્તર ભારતની રાજનીતિમાં ખૂબ લોકપ્રિય હતા.
મોદી સરકારમાં તેઓ ફ્લોર મેનેજમેન્ટમાં માહિર હતા, જેથી તેઓને સંસદીય કાર્યમંત્રીની ખાસ જવાબદારી આપવામાં આવી હતી.
અનંત કુમાર દક્ષિણથી આવતા હતા, પરંતુ તેઓ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત મધ્ય ભારતના ઘણા રાજ્યોની રાજનીતિમાં પાર્ટીના સંગઠન તરફથી સક્રિય હતા.
૨૦૧૪ની લોકસભા ચૂંટણી અને ૨૦૧૭માં ઉત્તરપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજયમાં તેઓનો શ્રેષ્ઠ ફાળો હતો. આ દરમિયાન તેઓએ ઘણી રેલીઓ કરી હતી.
આ ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ભાજપને મજબૂત કરવાનો શ્રેય તેઓને અનંત કુમારને જાય છે.
તેઓએ વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં પગલું માંડ્યું હતું. તેઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી પ્રભાવિત થઈને અખિલ ભારતીય વિદ્યાથી પરિષદના સભ્ય બન્યા હતા.
અનંત કુમાર સૌથી પહેલા ABVPના પ્રદેશ સચિવ અને ૧૯૮૫માં રાષ્ટ્રીય સચિવ બન્યા હતા. ત્યારબાદ તેઓએ ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં પણ પોતાની ભૂમિકા નિભાવી હતી.
વર્ષ ૧૯૮૭માં કર્ણાટક ભાજપના સચિવ બન્યા હતા. ત્યારબાદ ૧૯૯૬માં સૌપ્રથમવાર તેઓએ કર્ણાટકના બેંગલુરુ દક્ષિણથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ત્યારબાદ તેઓએ સતત છ વાર આ સીટ પરથી સાંસદ બન્યા હતા.
૧૯૯૮માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં બનેલી ભાજપની સરકારમાં તેઓ દક્ષિણ ભારતના ક્ષેત્રથી તેઓને ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા હતા. અટલ સરકારમાં તેઓ સૌથી નાની વયના મંત્રી હતા. ત્યારબાદ ૧૯૯૯માં બનેલી વાજપેયીની બીજી સરકારમાં તેઓને એકથી વધુ મંત્રાલયોની જવાબદારી આપવામાં આવી હતી.
ત્યારબાદ ભાજપ દ્વારા ૨૦૦૩માં કર્ણાટકમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોપવામાં આવી હતી. આ જ કારણ હતું કે, રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી.
વર્ષ ૨૦૦૪માં તેઓને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓએ મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ સહિતના ઘણા રાજ્યોમાં પ્રભારી તરીકે કામ કર્યું હતું.
એક રાજનેતા તરીકે તેઓ સતત ૬ વાર લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોચ્યા હતા. વર્ષ ૨૦૧૪માં પણ લોકસભા ચૂંટણી જીત્ય બાદ મોદી સરકારમાં રસાયણ અને ખાદ્ય મંત્રી બનાવાયા હતા. જો કે ત્યારબાદ તેઓને સંસદીય કાર્યમંત્રી તરીકેની જવાબદારી પણ આપવામાં આવી હતી.
તેથી જ તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકટમોચક કહેવામાં આવે છે.