નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને CBIના વડા તરીકે હટાવ્યા બાદ વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરી હતી. જો કે ત્યારબાદ આ મામલે કરાયેલી અરજીની સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાને અલગ કરી લીધા છે.
CJIએ આ અંગે જણાવ્યું હતું કે, “તેઓ સિલેક્ટ કમિટીના સભ્ય છે, ત્યારે આ મામલાની સુનાવણીમાં શામેલ થવું યોગ્ય રહેશે નહિ.
મળતી માહિતી મુજબ, નાગેશ્વર રાવને CBIના વચગાળાના ડાયરેક્ટર બનાવવા વિરુધ એક NGO દ્વારા પીટીશન દાખલ કરવામાં આવી હતી. NGO દ્વારા પોતાની અરજીમાં CBIના વડાની પસંદગી માટેના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી છે.
CBIના અંતરિમ ડાયરેક્ટરના મામલાની સુનાવણી ૨૪ જાન્યુઆરી બુધવારના રોજ હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા CVC (ચીફ વિજીલન્સ કમિશન) ના નિર્ણયને પલટતા આલોક વર્માને CBIના ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય રદ્દ કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ હવે આલોક વર્મા CBIના ચીફ બની રહેશે. જો કે તેઓ આ દરમિયાન કોઈ નીતિગત નિર્ણય કરી શકશે નહિ.
પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના ૩૬ કલાકમાં જ સિલેક્ટ કમિટી દ્વારા આ વધુ એકવાર આલોક વર્માને પોતાના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.