નાગપુર,
છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણ અને રાજકીય નેતાઓની નિવેદનને લઇ હંમેશા ચર્ચામાં રહેતા રામ મંદિર મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં જ RSSના સહકાર્યકર તરીકે સતત ચોથીવાર ચૂંટાયેલા ભૈયાજી જોશીએ આ નિવેદન આપ્યું છે.
RSSના સહકાર્યકર ભૈયાજી જોશીએ રામ મંદિર મુદ્દે જણાવતા કહ્યું, “આ વિવાદિત ભૂમિ પર રામ મંદિરની સિવાય કઈ પણ બની શકતું નથી”.
નાગપુરમાં મળેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં તેઓએ જણાવ્યું, “રામ મંદિર બનવું એ નક્કી છે. આ ભૂમિ પર બીજું કઈ પણ બની શકતું નથી, પરંતુ આ માટે કાયદાકીય પ્રક્રિયા દ્વારા આગળ વધવામાં આવશે”. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અદાલતના નિર્ણય બાદ જ આ ભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરુ થશે.
ઉત્તરપ્રદેશના બહુચર્ચિત અયોધ્યા વિવાદને લઇ કોર્ટની બહાર સમાધાન અંગેના પ્રયાસો અંગે તેઓએ જણાવ્યું, “રામ મંદિર મુદ્દે પરસ્પર સહમતી સહેલાઇથી સધાઈ શકે એમ નથી, પરંતુ જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેનું અમે સ્વાગત કરીએ છીએ”
અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેશ (ભૈયાજી) જોશીની સંઘના હેડક્વાર્ટર નાગપુરમાં મળેલી RSSની બેઠકમાં સતત ચોથીવાર સંગઠનના સહકાર્યકર પદે નિયુક્તિ કરવામાં આવી હતી. આ પહેલા એવી અટકળો સામે આવી રહી હતી કે જોશીના સ્થાન પર સંઘના સહકાર્યકર દત્તાત્રેય હોસબાલેને આ જવાબદારી આપવામાં આવશે પરંતુ અંતે ભૈયાજી જોશીના નામ આ પદ માટે કળશ ઢોળાયો હતો.
આ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે ધર્મસંવાદમા સંબોધતા રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. “ધર્મસંવાદ”માં RSS પ્રમુખે જણાવ્યું, “અયોધ્યાની રામજન્મ ભૂમિ પર માત્ર રામ મંદિર જ બનશે. અમે રામ મંદિરનું નિર્માણ કરીશું, આ કોઈ લોકપ્રિય ઘોષણા નથી પણ આ આસ્થાનો મામલો છે, આ બદલાઈ શકશે નહીં”.