અયોધ્યા:
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે હાલ સારા સંજોગો છે, પણ તેની સાથે જ ધીરજ રાખવાની પણ જરૂર છે. મંદિરોની નગરી તરીકે જાણીતા કર્ણાટકના ઉડ્ડુપ્પીમાં વીએચપી તરફથી યોજાયેલ ધર્મસંસદમાં મોહન ભાગવતે જણાવ્યુ હતું કે ભગવાન રામની જન્મભૂમિ પર રામમંદિર જ બનવું જોઇએ અને એ જગ્યા પર મંદિર સિવાય બીજું કોઇ નિર્માણ નહિં થાય. મંદિર પણ એવા લોકોની આગેવાની હેઠળ જ બનવું જોઇએ જે લોકો છેલ્લા ઘણાં વર્ષોથી આ માટે લડત ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે સહુ મળીને મંદિર બનાવીશું અને આ કોઇ પક્ષની લોકલુભાવન જાહેરાત નથી. તેમણે કહ્યું કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. આપણે સહુ મંજીલની નજીક છીએ એટલે આપણે સહુએ વધુ જાગરૂત અને સાવચેત રહેવાની જરૂર છે. તેમણે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે એ સિવાય સંપૂર્ણ શાંતિ શક્ય નહિં બને. વીએચપીની આ ધર્મસંસદ ત્રણ દિવસ ચાલનારી છે. આ ધર્મસંસદમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને યોગગુરુ બાબા રામદેવના આગમનની પણ શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આ ધર્મસંસદમાં રામમંદિર નિર્માણની સાથે-સાથે ધર્માન્તરણ અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.