નવી દિલ્હી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સિલની બેઠક રાજધાની દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં દિલ્હી, મણીપુર, ગોવા, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, ઓડીશા અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીઓ પહોચ્યા નહતા. આ દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી. નીતીશ કુમારે આ માંગનું સમર્થન કરતા પોતાના રાજ્ય માટે પણ વિશેષ દરજ્જાની માંગ કરી હતી.
બેઠક દરમિયાન શરૂઆતી ભાષણમાં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતીનીધીઓનું સ્વાગત કરતા કહ્યું કે નીતિ આયોગ ગવર્નીંગ કાઉન્સિલ એક એવો મંચ છે જે ઐતિહાસિક પરિવર્તન લાવી શકે છે.
પીએમએ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આશ્વાશન આપ્યું કે પુરના પ્રભાવમાંથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર બધી સહાયતા કરશે. એમણે કહ્યું કે નીતિ આયોગ ગવર્નીંગ કાઉન્સિલે ટીમ ઇન્ડિયાની જેમ કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ જીએસટી લાગુ કરવાને આનું મુખ્ય ઉદાહરણ બતાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 2017-18ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા 7.7 ટકાના દરથી વધી છે. એમણે કહ્યું કે આ વિકાસદરને બે આંકડામાં લઇ જવાનો પડકાર છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવશે. વર્ષ 2022 સુધી નવા ભારતનું વિઝન આપણા દેશના લોકોનો સંકલ્પ છે. આ સંદર્ભમાં એમણે ખેડૂતોની આવક બમણી કરવા, મહત્વાકાંક્ષી જીલ્લાઓનો વિકાસ, આયુષ ભારત, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્માન ભારત, રાષ્ટ્રીય પોષણ મિશન અને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર દેશભરમાં ઉજવણી સહીત કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પીએમએ કહ્યું કે આયુષ ભારત હેઠળ 1.5 લાખ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને લગભગ 10 કરોડ પરિવારોને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આમાં દર વર્ષે 5 લાખ પરિવારોને શામેલ કરવામાં આવશે.
ગ્રામ સ્વરાજ અભિયાન યોજનાઓ લાગુ કરવા માટે એક નવા મોડલ રૂપે ઉભર્યું છે. એમણે આગળ જણાવ્યું કે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 45000 ગામનો વધારો કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે આર્થિક અસંતુલન ઘટાડવું એ એમની પ્રાથમિકતા છે.